
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જળજન્ય અને પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગની ટીમો વિવિધ વિસ્તારોમાં ક્લોરીનેશન અને સર્વેલન્સની કામગીરી કરી રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી પાણી શુદ્ધ રહે અને પાણીજન્ય રોગોનું જોખમ ઘટે. સાથે જ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગામો અને શહેરી વિસ્તારોમાં સર્વેલન્સ કરીને તાવ, ઝાડા, ઊલટી સહિતના જળજન્ય રોગોના સંભવિત કેસો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગે લોકોને માત્ર ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવાની, સ્વચ્છતાનું પાલન કરવાની અને કોઈપણ પ્રકારના રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરી છે. વિભાગે જણાવ્યું છે કે વરસાદી ઋતુ દરમિયાન લોકોના આરોગ્યની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં સતત લેવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR