
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : જિલ્લાના વિજાપુર તાલુકાના મણીપુરા ગામના એક યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.) કચેરીના ઈ-મેઈલ આઈડી પર હું મારી લાઈફ પુરી કરું છું અને આત્મહત્યા કરવા જાઉં છું એવો સંદેશ મોકલ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તરફથી જાણ થતાં જ વિજાપુર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી.
વિજાપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસે ઈ-મેઈલ સાથે જોડાયેલા મોબાઈલ નંબરના આધારે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. લોકેશન ટ્રેસ કરતાં યુવક મણીપુરા ગામમાં પોતાના ઘરે એકલો હોવાનું જાણવા મળ્યું હતું. માહિતી મળતા જ પોલીસની ટીમ વિલંબ કર્યા વગર સ્થળ પર પહોંચી યુવકને સુરક્ષિત શોધી કાઢ્યો હતો.
ત્યારબાદ પોલીસે યુવકના મિત્રની હાજરીમાં તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. સહાનુભૂતિપૂર્વક વાતચીત કરીને તેને આવું કોઈ આત્યંતિક પગલું ન ભરવા સમજાવવામાં આવ્યો હતો અને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા પરિવાર તથા પોલીસની મદદ લેવાની સલાહ આપવામાં આવી હતી.
વિજાપુર પોલીસની સમયસૂચકતા, ટેકનિકલ તપાસ અને ઝડપી કાર્યવાહીના કારણે એક કિંમતી જીવ બચી ગયો છે. પોલીસની આ સંવેદનશીલ અને માનવતાભરી કામગીરીની સ્થાનિક સ્તરે પ્રશંસા થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR