
નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.). મહારાષ્ટ્રના ખાદ્ય અને ઔષધ પ્રશાસન (એફડીએ) દ્વારા બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફને વિમલ ઇલાયચીના પ્રચાર-પ્રસાર સાથે સંકળાયેલા મામલામાં નોટિસ જારી કરવી એ ખૂબ જ કાયદાકીય અને એક આવકાર્ય પગલું છે. સાંસદ અને કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા આ વાત કહી છે.
સાંસદ અને કેટ મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે સોમવારે કહ્યું કે, આ સંદેશ સ્પષ્ટપણે જવો જોઈએ કે દેશમાં કાયદો, નિયમો અને ગ્રાહક હિત સર્વોપરી છે તથા કોઈપણ વ્યક્તિની લોકપ્રિયતા કે સેલિબ્રિટીનો દરજ્જો તેને કાયદાના પાલનમાંથી મુક્તિ આપી શકતો નથી.
ખંડેલવાલે કહ્યું કે, આ અત્યંત ચિંતાજનક છે કે કેટલીક પ્રખ્યાત બોલિવૂડ હસ્તીઓ ફક્ત વ્યાવસાયિક લાભ માટે એવા ઉત્પાદનોના પ્રચાર સાથે જોડાઈ જાય છે, જેમની જાહેરાત અને બ્રાન્ડિંગને લઈને ગંભીર કાયદાકીય અને નૈતિક પ્રશ્નો ઉભા થતા રહ્યા છે. તેમણે કહ્યું કે કરોડો લોકો આ સેલિબ્રિટીઝને પોતાના આદર્શ માને છે. આવા સમયે તેમની સામાજિક જવાબદારી પણ વધી જાય છે. જો તેઓ પોતે નિયમોની અવગણના કરતા દેખાય, તો સમાજમાં ખોટો સંદેશ જાય છે અને કાયદા પ્રત્યેનો આદર નબળો પડે છે.
તેમણે કહ્યું કે, કમનસીબે આજકાલ કાયદાઓ અને નિયમોની અવહેલના કરવી એક પ્રકારનો ફેશન બનતી જઈ રહી છે. ભલે કેટલાક ચર્ચિત સેલિબ્રિટી હોય અથવા પછી દેશમાં રોકાણ કરતી કેટલીક વિદેશી રોકાણ (એફડીઆઈ) આધારિત કંપનીઓ, અનેક મામલાઓમાં એ જોવા મળ્યું છે કે નિયમોની સીમાઓને જાણી જોઈને ઓળંગવાનો અથવા તેનો મનસ્વી અર્થ કાઢવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિ અત્યંત ગંભીર છે અને તેને કોઈપણ સ્થિતિમાં સ્વીકારી શકાય નહીં.
ખંડેલવાલે ભારપૂર્વક કહ્યું કે, વેપાર, ઉદ્યોગ, મનોરંજન જગત અથવા અન્ય કોઈ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકો માટે એક સમાન નિયમો હોવા જોઈએ. જો સામાન્ય નાગરિક અને નાના વેપારીઓ કાયદાઓનું પાલન કરવા માટે બંધાયેલા છે, તો મોટા બ્રાન્ડ, મોટી કંપનીઓ અને મોટા ચહેરાઓ પણ તે જ કસોટી પર પારખવા જોઈએ. કાયદાનું સન્માન જ સ્વસ્થ વ્યાપારિક વ્યવસ્થા અને જવાબદાર સમાજનો પાયો છે.
તેમણે આશા વ્યક્ત કરી છે કે, મહારાષ્ટ્ર એફડીએ આ મામલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી સુનિશ્ચિત કરશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પોતાની લોકપ્રિયતા, પ્રભાવ અથવા આર્થિક શક્તિના જોરે નિયમોને અવગણવાનું સાહસ ન કરી શકે. દેશમાં કાયદાનું શાસન સ્થાપિત રહેવું જોઈએ અને આ સિદ્ધાંત વ્યવહારમાં પણ દેખાવો જોઈએ કે કાયદાથી ઉપર કોઈ નથી.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર ખાદ્ય અને ઔષધ પ્રશાસન (એફડીએ) એ એક દિવસ પહેલા અભિનેતા શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફ ત્રણેય અભિનેતાઓને વિમલ ઇલાયચીની જાહેરાતને લઈને કારણદર્શક નોટિસ જારી કરી છે. મહારાષ્ટ્રમાં પાન મસાલા પર હાલમાં પ્રતિબંધ છે, જેના કારણે રાજ્ય એફડીએએ આ જાહેરાતને ગંભીરતાથી લીધી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ