
નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ‘બેંકિંગ ફોર વિકસિત ભારત’ પર એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરશે. આ સમિતિનો ઉદ્દેશ્ય વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની લક્ષ્યને અનુરૂપ બેંકિંગ ક્ષેત્રની વ્યાપક સમીક્ષા કરવાનો છે.
કેન્દ્રીય નાણાં મંત્રીએ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં બે દિવસીય ‘પીએસબી કોન્ક્લેવ’ને સંબોધિત કરતા આ વાત કહી. સીતારમણે કહ્યું કે, અમને આશા છે કે બેંકિંગ ક્ષેત્રની સમીક્ષા માટે ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિની રચનાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે 'વિકસિત ભારત 2047'નું લક્ષ્ય બહુ દૂર નથી. 'વિકસિત ભારત' માટે બેંકિંગ વ્યવસ્થા પર ચર્ચા કરવાનો આનાથી સારો સમય હોઈ શકે નહીં, ખાસ કરીને ત્યારે જ્યારે તમામ સરકારી બેંકો (પીએસબી) અને નાણાકીય સંસ્થાઓએ પડકારોનો સામનો કરતા સુધારાનો માર્ગ અપનાવ્યો છે.
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતીય બેંકિંગના ઇતિહાસમાં ફસાયેલા દેવા (એનપીએ)નું સ્તર અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે છે. તેથી બેંકિંગ સુધારાઓને આગળ વધારવા માટે આનાથી સારી અને મજબૂત સ્થિતિ હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે સમિતિ સરકારને પોતાના વિચારો અને ભલામણો આપશે. કેન્દ્રીય નાણાં મંત્રીએ ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં ‘બેંકિંગ ફોર વિકસિત ભારત’ પર એક ઉચ્ચસ્તરીય સમિતિ ગઠિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેનો ઉદ્દેશ્ય બેંકિંગ ક્ષેત્રની વ્યાપક સમીક્ષા કરવી અને તેને ભારતની વૃદ્ધિના આગલા તબક્કાને અનુરૂપ બનાવવાનો છે.
સીતારમણે 1 ફેબ્રુઆરીએ પોતાના બજેટ ભાષણમાં ‘બેંકિંગ ફોર વિકસિત ભારત’ પર ઉચ્ચસ્તરીય સમિતિ ગઠિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેથી ક્ષેત્રની વ્યાપક સમીક્ષા કરવાની સાથે જ તેને ભારતની વૃદ્ધિના આગલા તબક્કાને અનુરૂપ બનાવી શકાય. સાથે જ નાણાકીય સ્થિરતા, નાણાકીય સમાવેશ અને ગ્રાહક સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ