
કાઠમંડુ, નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.). નેપાળના ગૃહમંત્રી સુદન ગુરુંગે, વિદેશમાં રહેતા અને પોતાના મતવિસ્તારની બહાર રહેતા મતદારોને મતદાનનો અધિકાર આપવા માટે જરૂરી કાયદાકીય જોગવાઈઓ પ્રસ્તાવિત વિધેયકમાં સામેલ કરવાનો આગ્રહ કર્યો છે. ચૂંટણી પંચ સાથે ચૂંટણી વ્યવસ્થાપન વિધેયકના મુસદ્દા અને ચૂંટણી સુધારા અંગે થયેલી ચર્ચા દરમિયાન તેમણે આ આગ્રહ કર્યો.
ગૃહમંત્રી ગુરુંગે આને અનુરૂપ ટેકનિકલ તૈયારીઓ શરૂ કરવા માટે પણ ચૂંટણી પંચને આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે, વર્તમાન સરકાર વિદેશમાં રહેતા નેપાળી નાગરિકોને મતદાનનો અધિકાર સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
ગુરુંગે કહ્યું કે, ગત ચૂંટણીઓમાં જ સરકારનો પૂરો પ્રયાસ હતો કે વિદેશોમાં રહેતા નેપાળી નાગરિકોને મતદાનનો અધિકાર મળે, પરંતુ તે સમયે કેટલાક ટેકનિકલ કારણોસર આ શક્ય બન્યું ન હતું. તેમણે ગત ચૂંટણીમાં સામે આવેલી સમસ્યાઓના સમાધાન માટે ચૂંટણી પંચને જરૂરી પગલાં ભરવા જણાવ્યું છે.
મુખ્ય ચૂંટણી કમિશનર માનબહાદુર કાર્કીએ જણાવ્યું કે, આ વ્યવસ્થા માટે કાયદાકીય, સંસ્થાકીય અને ટેકનિકલ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમણે આ માટે જરૂરી સંસાધનો અને જનશક્તિ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી.
કાર્કીએ કહ્યું કે, ચૂંટણીની સ્વચ્છતા, સ્વતંત્રતા અને નિષ્પક્ષતાને વધુ મજબૂત કરવા તથા સામાન્ય મતદારોની ઈચ્છાને અનુરૂપ ચૂંટણીની પ્રક્રિયા અને પ્રણાલીમાં સુધારા કરવા માટે પંચ સક્રિયપણે કામ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / વીરેન્દ્ર સિંહ.
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ