


પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરની
વી.જે. મદ્રેસા બોયઝ હાઈસ્કૂલ
અને વી.જે. મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મિલાદુન્નબી નિમિત્તે વિવિધ ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓન. સેક્રેટરી ફારૂક સુર્યા, પ્રિન્સિપાલ મુલતાની તથા સમીનાઆપા બુખારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં બંને શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
મિલાદુન્નબીના પાવન અવસરને વિદ્યાર્થીઓમાં પયગંબર સાહેબના જીવન, સંદેશ અને આદર્શો અંગે જાગૃતિ આવે તેમજ સમાજમાં પ્રેમ, શાંતિ, ભાઈચારો અને સદભાવનાની ભાવના મજબૂત બને તેવા ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરઆન શરીફના પઠનથી કરવામાં આવી હતી.ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા નાતએ-પાક, મનકબત, કિરાત, વક્તવ્ય તેમજ વિવિધ માહિતી પ્રદ રજૂઆતો કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યમાં પયગંબર સાહેબે સમગ્ર માનવજાતને પ્રેમ, દયા, ક્ષમા, ન્યાય, સત્ય, સેવા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હોવાનું જણાવ્યું હતું.આ ઉપરાંત શિક્ષણનું મહત્વ, માતા-પિતા પ્રત્યે આદર, ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ તથા દરેક વ્યક્તિ સાથે સદભાવ પૂર્વક વર્તવાના સંદેશને પણ વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆતોમાં વણી લીધો હતો.
મિલાદુન્નબીના કાર્યક્રમથી સમગ્ર શાળાપરિસર ધાર્મિક ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. બોયઝ અને ગર્લ્સ બંને શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.સાથે જ પયગંબર સાહેબના જીવન અને સંદેશને દૈનિક જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં નૈતિકતા, શિસ્ત, માનવતા, સેવા, ભાઈચારોઅને
સદભાવનાના સંસ્કારોનું સિંચન કરતો પ્રેરણાદાયી બની રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya