
નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.). લોકસભાએ ગુરુવારે વિપક્ષી સભ્યોના સતત હોબાળા વચ્ચે કરવેરા અને અન્ય કાયદા (સુધારા) વિધેયક-2026ને ધ્વનિ મતથી મંજૂરી આપી દીધી. સદને આ વિધેયકમાં કેટલાક સુધારાના પ્રસ્તાવને ફગાવી દીધો.
લોકસભામાંથી કોઈપણ ચર્ચા વિના પસાર થયેલા આ વિધેયકનો હેતુ 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ અધિનિયમ, 2007' માં ફેરફાર કરવાનો છે, જેનાથી 'યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ' (યુપીઆઈ) પર 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (એમડીઆર) લાગુ થઈ શકે છે. આ અધિનિયમમાં ફેરફાર ઉપરાંત વિધેયકમાં 'ફાઇનાન્સ અધિનિયમ 2026' અને 'આવકવેરા અધિનિયમ 2025' માં સુધારો કરવા અને વિદેશી રોકાણકારોને ટેક્સમાં છૂટ આપવા માટે જૂનમાં જારી કરાયેલા વટહુકમને રદ કરવાનો પણ પ્રસ્તાવ છે.
કેન્દ્રીય નાણાં મંત્રીએ મંગળવારે લોકસભામાં ‘કરવેરા અને અન્ય કાયદા (સુધારા) વિધેયક, 2026’ રજૂ કર્યું હતું. સીતારમણે આ વિધેયકને સદનમાં રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે સરકારનો 'કરવેરા અને અન્ય કાયદા (સુધારા) વિધેયક-2026’ લાવવાનો હેતુ દેશની કર પ્રણાલીમાં મોટા ફેરફારોનો પ્રસ્તાવ છે. તેમણે કહ્યું કે આ વિધેયક લાવવાનો હેતુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું, વિદેશી રોકાણ આકર્ષિત કરવું અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઉભરતા ક્ષેત્રોને ટેકો આપવાનો છે. નાણાં મંત્રીએ કહ્યું કે, તેનો હેતુ ફંડ મેનેજમેન્ટના નિયમોને સરળ બનાવવાનો, કર પ્રોત્સાહન વધારવાનો અને કેટલીક ખાસ વિદેશી સંસ્થાઓને છૂટ આપવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ