
ગીર સોમનાથ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં ડાભોર રોડ ખાતે આવેલા નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ૬૦૦ લોકોએ તેમની સંમતિ આપેલી છે અને આજે સાંજ સુધીમાં ૬૦૦ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવશે. તેમ જિલ્લા ક્ષય અધિકારી ડૉ. શિતલ રામે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, કટોકટી અને જરૂરિયાતના સમયે રક્તની જરૂરિયાત ઉભી થાય છે. ત્યારે તાત્કાલિક ધોરણે આવું રક્ત મળતું હોતું નથી. પરંતુ આવા કેમ્પ દ્વારા જો રક્ત એકત્ર કરવામાં આવેલું હોય તો કટોકટીના સમયે દર્દી માટે આ રક્ત આશીર્વાદરુપ બની રહેતું હોય છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન રેડક્રોસના સહયોગથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓની બ્લડપ્રેશર મશીન, હિમોગ્લોબીન મશીન સહિતના ઉપકરણોથી સ્વાસ્થ્ય તપાસ તેમજ બ્લડ કલેક્શન મોનિટર સહિતના અત્યાધુનિક ઉપકરણોથી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ