
- ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર થતા આચાર સંહિતા લાગુ
અમદાવાદ,18 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની પસંદગીમાં હજુ એક મહિનાનો સમય લાગી શકે છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઈ છે, જેના કારણે ગુજરાત યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂકનો નિર્ણય હવે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અટકી શકે છે. એક મહિના સુધી કાયમી કુલપતિની નિમણૂક ન થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. જેથી કાયમી કુલપતિની નિમણૂકને લઈને કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી ઇન્ચાર્જ કુલપતિ દ્વારા ગુજરાત યુનિવર્સિટીનો વહીવટ ચલાવનો છે.
રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં નીરજા ગુપ્તાની કુલપતિ તરીકેની ટર્મ 30 જૂનના પૂર્ણ થઈ ગઈ હતી. જો કે ત્યાં સુધી કાયમી કુલપતિ માટે કોઈપણ પ્રકારની સર્ચ કમિટીની નિમણૂંક કરવામાં ન આવી હોવાથી સરકારે ઇન્ચાર્જ કુલપતિ તરીકે જગદીશ જોશીની નિમણૂક કરી હતી. જેથી અત્યારે ગુજરાત યુનિવર્સિટીનો વહીવટ ઇન્ચાર્જ કુલપતિ દ્વારા જ કરવામાં આવે છે. જો કે તે બાદ બાદ સર્ચ કમિટીની રચના તેમાં સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કાયમી કુલપતિ માટે નિમણૂક કરવામાં આવેલી સર્ચ કમિટી દ્વારા અરજીઓ મંગાવવવામાં આવી હતી. જે અરજીઓ મળ્યા બાદ સર્ચ કમિટીએ અરજીઓ અને ઉમેદવારોના બાયોડેટાની ચકાસણી પણ કરી દીધી હતી. સર્ચ કમિટીએ પોતાનું કામ પૂર્ણ કરીને ત્રણ નામ સરકારને પણ મોકલી આપ્યા હતા. હવે સર્ચ કમિટી દ્વારા મોકલવામાં આવેલા ત્રણ નામમાંથી કાયમી કુલપતિની અંતિમ પસંદગી અને નિમણૂક સરકારના સ્તરેથી થવાનું બાકી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂકમાં વધુ એક મહિના જેટલો સમય લાગી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. કારણ કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં 16 સપ્ટેમ્બરથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ચૂંટણી પ્રક્રિયા 13 ઓક્ટોબરે મતગણતરી સાથે પૂર્ણ થવાની હોવાથી ત્યાં સુધી કાયમી કુલપતિની નિમણૂક અંગેનો અંતિમ નિર્ણય થઈ શકે તેમ નથી. જેના પરિણામે હાલની જેમ ઇન્ચાર્જ કુલપતિ દ્વારા જ ગુજરાત યુનિવર્સિટીનો વહીવટ ચલાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ