

શામળાજી/અમદાવાદ,04 સપ્ટેમ્બર (હિ.સ.) : જન્માષ્ટમીના પર્વને લઈને દ્વારકા, ડાકોર અને શામળાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા આવશે. અનેક ભક્તો જન્માષ્ટમીના દિવસે ભગવાનના જન્મસ્થળની પાવન નગરીમાં રહીને મધરાતે યોજાતા જન્મોત્સવના સાક્ષી બનશે.
મધ્યગુજરાતના લોકો ડાકોર અને ઉત્તરગુજરાતના લોકો શામળાજીમાં કૃષ્ણજન્મના સાક્ષી બનશે.
યાત્રાધામ શામળાજી ખાતે આજે જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં વહેલી સવારે 6 કલાકે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ શામળિયાના દર્શન માટે ભક્તોનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું.
જન્માષ્ટમીના દિવસે વહેલી સવારે 6 વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ઠાકોરજીને દાંતણ અર્પણ કરી માખણ-મીસરીના મંગલ ભોગ સાથે મંગલા આરતી કરાઈ. સવારે 8 વાગ્યે વર્ષમાં માત્ર બેવાર યોજાતી વિશેષ પરંપરા મુજબ ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવ્યું, જેમાં ગૌશાળાના 11 લિટર દૂધ, દહીં, ઘી, કેસર અને ગંગાજળ વડે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અભિષેક થયો. અભિષેક બાદ ઠાકોરજીને ખાસ કેસરી રંગના રેશમી વાઘા, સિલ્કનું પિતાંબર અને સોના-ચાંદીના કિંમતી આભૂષણોથી સજાવવામાં આવ્યા. બપોરે રાજભોગ બાદ સોનાના પાસાથી ચોપાટ રમાડવાની પરંપરા નિભાવવામાં આવશે.
મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શામળાજી ધામ ખાતે વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં કૃષ્ણભક્તિની રમઝટ જોવા મળી હતી. આ ઉજવણી દરમિયાન સમગ્ર વિસ્તારમાં 108 જેટલી મટકીઓ ફોડવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને યુવાનો અને ભક્તોમાં ભારે રોમાંચ છવાયો છે. 'જય શામળિયા' અને 'નંદ ઘેર આનંદ ભયો'ના ગગનભેદી નાદ સાથે સમગ્ર શામળાજી નગરી કૃષ્ણમય બની ગઈ છે.
શામળાજી મંદિર પરિસરમાં જન્માષ્ટમીનો પાવન ઉત્સવ અત્યંત ભક્તિમય માહોલમાં ઉજવાઈ રહ્યો છે, જ્યાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા અનેક મહિલા મંડળો ભજનોની રમઝટ બોલાવીને કૃષ્ણભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે.
પ્રાંતિજના અનવરપુરાથી ખાસ પધારેલા ભોલે મંડળની મહિલાઓ સહિત દેશ-વિદેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે અને સમગ્ર મંદિર પરિસર 'જય શ્રીકૃષ્ણ'ના નાદથી ગૂંજી ઊઠ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ