
સુરત, 06 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરતમાં રવિવારે ‘નશા મુક્ત યુવા ભારત અભિયાન’ની થીમ સાથે ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ની 89મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી સાયકલ રેલીમાં 3,000થી વધુ સુરતીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
વરાછા રોડ પર આવેલા સરદાર પટેલ ચોકથી સરથાણા નેચર પાર્ક સુધી આશરે 5 કિલોમીટરની સાયકલ રેલી યોજાઈ હતી. તેમાં શાળાના વિદ્યાર્થીઓ, રમતવીરો, ફિટનેસપ્રેમીઓ, યુવાનો તેમજ વરિષ્ઠ નાગરિકોએ ભાગ લીધો હતો.
સ્વસ્થ યુવાનો વિના વિકસિત ભારતનું લક્ષ્ય શક્ય નથી
કાર્યક્રમને સંબોધતા ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સ્વસ્થ નાગરિકો વિના 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરી શકાય નહીં અને સ્વસ્થ યુવાનો વિના સ્વસ્થ નાગરિકોનું નિર્માણ શક્ય નથી.
તેમણે સાયકલિંગને શરીરને તંદુરસ્ત રાખવાની અસરકારક પ્રવૃત્તિ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ માત્ર ફિટનેસ પૂરતી મર્યાદિત ઝુંબેશ નથી, પરંતુ દર અઠવાડિયે અલગ સામાજિક સંદેશ સાથે સમાજના વિવિધ વર્ગોને જોડવાનું કાર્ય કરી રહી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે દેશના વિવિધ વિસ્તારોમાં યોજાતી આ સાયકલિંગ પહેલ જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધીના લોકોને ફિટનેસના એક મંચ પર જોડવાનું કામ કરી રહી છે.
રમતગમત ક્ષેત્રના જાણીતા ચહેરાઓ ઉપસ્થિત
આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલ અને હરમીત દેસાઈ, કુસ્તીબાજ સરિતા મોર અને શિવાની પવાર, અભિનેતા જય થડેશ્વર, ‘સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા’ તરીકે ઓળખાતા વિસ્પી ખરાડી, ‘આયર્ન ટીથ મેન’ રાકેશ સૈની તેમજ ફિટનેસ એમ્બેસેડર ઉર્વી પરવાણી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ઝુમ્બા અને શારીરિક કસરતના સત્રથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ ઉપરાંત ઉપસ્થિત લોકો માટે ક્રિકેટ, બેડમિન્ટન, કેરમ અને ચેસ જેવી રમતોનો સમાવેશ કરતો ‘લાઇવ સ્પોર્ટ્સ ઝોન’ પણ ઊભો કરવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન દરમિયાન ફિટનેસ, રમતગમત અને નશામુક્ત યુવા ભારતનો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે