
પાટણ, 06 સપ્ટેમ્બર (હિ.સ.) : રાધનપુર-વારાહી રોડ પર નેશનલ હાઈવે-27 પર રાઘવજી હોટલ પાસે મોડી રાત્રે લગભગ 1 વાગ્યે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર રસ્તા પર ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી જતાં કારમાં સવાર ત્રણ લોકોનાં મોત થયા હતા, જ્યારે એક બાળક સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ, અંજારના મિત્રો ખાટું શ્યામના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન ઈકો કાર નંબર GJ-39-CD-1712 ટ્રક નંબર GJ-08-Z-7017ની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્મતમાં સુનિલ લક્ષ્મણભાઈ ચાવડા, મહેશ અંબુભાઈ મહેતા અને શક્તિસિંહ બહાદુરસિંહ જાડેજાનાં મોત થયા હતા. જ્યારે ગોપાલસિંહ ગોહિલ, મુકેશ કોળી, કિશોરસિંહ જાડેજા અને 14 વર્ષીય સત્યરાજસિંહ જાડેજા ઈજાગ્રસ્ત થતાં તેમને રાધનપુર બાદ વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યા હતા.
અકસમાતની જાણ થતાં રાધનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રક વિરમગામથી સાંતલપુરમાં સસ્તા અનાજની દુકાનનો માલ ઉતારવા જઈ રહી હોવાનું સામે આવ્યું છે. ફરાર ટ્રક ડ્રાઈવરની શોધખોળ માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ