પાટણ, 1 ઓક્ટોબર (હિ.સ.)હારીજના ગામ દરવાજે આઠમના રોજ નવરાત્રિના પવિત્ર અવસરે દેશભક્તિ અને પૌરાણિક ગરબાઓની રમઝટ જમાવવામાં આવી હતી. ગામના યુવાનોથી લઈને વડીલોએ પરંપરાગત વેશભૂષામાં માતાજીના જયઘોષ સાથે ઉત્સાહભેર ગરબા રમ્યા હતા. ગામ દરવાજાની માંડવી ખાતે માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને આરતીનો લાભ કનુ ઠાકરે લીધો હતો.
આ પ્રસંગે ગામના વયોવૃદ્ધ વર્ધિલાલ ઠાકર અને ભગવતીપ્રસાદ ઠાકર દરેક નોરતે દેશી ઢોલના તાલે “લીલા... હો ગિરધારી” જેવા પૌરાણિક ગરબાઓ ગાઈ સમગ્ર માહોલમાં ભક્તિભાવ જગાવતા હોય છે. હારીજ નગરમાં નવરાત્રિની શરૂઆત સૌપ્રથમ જૂના ગામ વિસ્તારમાં ગણાતા ગામ દરવાજામાં થઈ હતી, અને ત્યારથી આજદિન સુધી પરંપરા તરીકે જળવાઈ રહી છે.
પ્રસંગે જલિયાણ ગ્રુપના ઉદ્યોગપતિ મિતેશ ઠક્કર ખાસ ગામ દરવાજાની માંડવીના દર્શન માટે પધાર્યા હતા. ગામના આગેવાનો નંદુ મહેતા, નવીન મહેતા, હસુ ઠાકર, જીગર મહેતા, ચક્ષુક મહેતા, જગદીશ મિશ્રા અને ગરબીના આયોજકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મિતેશે પણ તમામ આયોજકોને સાદર સન્માનિત કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ