ગીર સોમનાથ, 1 ઓક્ટોબર (હિ.સ.) સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા બાબતે સરકારના મહેસુલ વિભાગ દ્વારા સમયાંતરે ઠરાવ, જાહેરનામા તથા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત સુપ્રિમ કોર્ટના ઓર્ડરથી જાહેર શેરીઓ, જાહેર ઉદ્યાનો કે અન્ય જાહેર સ્થળો વગેરે પર ધાર્મિક પ્રકારના જેવા કે, મંદિર, મસ્જિદ, ચર્ચ, મકબરા, ગુરુદ્વારા વગેરે પ્રકારના ધર્મસ્થાનોના અનઅધિકૃત થયેલા બાંધકામ દૂર કરવા તથા નવા અનઅધિકૃત ધાર્મિક બાંધકામ ન થાય તે અંગે રાજય સરકારે જરૂરી નિર્દેશો/સૂચનાઓ પ્રસારીત કરી છે.
આ સૂચના અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં ઝુંબેશના ભાગરૂપે વેરાવળ તાલુકાના પ્રભાસપાટણમાં આવેલ સરકાર સદરેની સ.નં.૧૮૫૧ અને સ.નં.૧૮૫ર વાળી જમીન પરના ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યાં છે.
આ જમીન પર અન્ય વ્યકિતઓના પ્રવેશ કે દબાણ કરવાથી લોકો વચ્ચે ઘર્ષણ, કોમી હિંસા, રમખાણો તથા તોફાનો થવાની સંભાવના જણાય છે. જેથી જાહેર સુલેહ શાંતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તકેદારી રાખવા અગમચેતીના પગલા લેવાના ભાગરૂપે અન્ય કોઈ ઈસમ/સંસ્થા/કંપનીના પ્રવેશબંધી અંગેનું ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર વેરાવળ તાલુકાના પ્રભાસપાટણના શ્રી સરકાર સદરે આવેલ સ.નં.૧૮૫૧ અને ૧૮૫ર વાળી જમીન/મિલકત પર કોઈ પણ ઈસમ/સંસ્થા/કંપનીએ પ્રવેશ કે દબાણ કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ સ્ટાફને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા. ૦૧/૧૦/૨૦૨પથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ