ગીર સોમનાથ 1ઓક્ટોબર (હિ.સ.) “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અંતર્ગત કોડીનારમાં વિવિધ થીમ આધારીત કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેના ઉપક્રમે ‘સ્વચ્છોત્સવ’ના ભાગરૂપે કોડીનારના પાણી દરવાજા ખાતે ફાસ્ટફુડ અને લારી-ગલ્લાધારકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
‘સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ’ની થીમ આધારિત આ કાર્યક્રમમાં ધંધો કરવાના પોતાના સ્થળને સ્વચ્છ રાખતા લારી-ગલ્લા ધારકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. લારી-ગલ્લા ધારકો અને વેપારીઓને ભીના કચરા અને સૂકા કચરા વિશે સમજૂતી આપવામાં આવી હતી.
તદુપરાંત, શહેરના સત્યમ સોસાયટી, બસ સ્ટેશન, જૂની નગરપાલીકા, વેરાવળ રોડ શાકભાજી માર્કેટ, બિલેશ્વર સોસાયટી જેવા જાહેર સ્થળો પર કચરાના સોર્સ સેગ્રીગેશન માટે તથા સફાઇને અનુલક્ષી શેરીનાટકોના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ