પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અન્વયે લોક કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ પણ પોતાને મળેલા લાભની વાત ગ્રામજનો સમક્ષ મૂકી રહ્યા છે.
વિકાસ સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં બખરલા ખાતે યોજાયો હતો. જેમાં હાજા ઘેલાભાઈ મારૂએ આયુષ્માન ભારત યોજનાના લાભની વાત ગ્રામજનો સમક્ષ મૂકી હતી.
બખરલા ગામના રહેવાસી હાજાભાઈ મારૂએ જણાવ્યું હતું કે તાજેતરમાં એકસીડન્ટ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ થવાથી દવાખાનામાં દાખલ થવાનો પ્રસંગ આવ્યો હતો. તેમના ઉપચાર માટે અંદાજે રૂ.2 લાખ જેટલો ખર્ચ થવાનો હતો, પરંતુ રાજ્ય સરકારની આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તેઓને સંપૂર્ણ મફત સારવાર મળી.
આ યોજનાનો લાભ મળતાં હાજાભાઈ મારૂ અને તેમના પરિવારજનોએ સરકાર પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ યોજનાથી સામાન્ય પરિવારને મોટા આરોગ્યખર્ચની ચિંતા વગર ઉત્તમ સારવાર મળે છે, જે ખરેખર આશીર્વાદરૂપ છે.
હાજાભાઈ મારૂએ જણાવ્યું હતું કે આયુષ્માન કાર્ડના કારણે તેમની સર્જરી સફળતાપૂર્વક થઈ શકી અને કોઈપણ આર્થિક બોજ વિના તેઓને આરોગ્યલાભ થયો.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ લોકકલ્યાણકારી યોજનાએ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આરોગ્યસુરક્ષા આપવાથી વાસ્તવમાં “સુખી અને સ્વસ્થ ગુજરાત”નું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya