ભાવનગર,13 ઓકટોબર (હિ.સ.) રાજ્યના ખેડૂતોને આગામી રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં 14 અને 15 ઓક્ટોબર, 2025 એમ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન-2025ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિહોર તાલુકાના લોકભારતી સણોસરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મીયાણીના અધ્યક્ષસ્થાને 14 ઓક્ટોબરના રોજ સવારના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
તેવી જ રીતે ભાવનગર તાલુકાકક્ષાનો શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ- શામપરા સિદસર ખાતે, ગારિયાધાર તાલુકાકક્ષાનો પટેલ વાડી, એગ્રી બિઝનેશ સેન્ટર સામે નવાગામ રોડ, ઘોઘા તાલુકા કક્ષાનો ડાભી રામાજની વાડી, મોટા ખોખરા, જેસર તાલુકા કક્ષાનો જેસર તાલુકા સેવા સદન, મહુવા તાલુકા કક્ષાનો મહુવા APMC, પાલીતાણા તાલુકા કક્ષાનો પાલીતાણા APMC, તળાજા તાલુકા કક્ષાનો ગણેશ જીન તળાજા પાલીતાણા રોડ, ઉમરાળા તાલુકા કક્ષાનો પટેલ રામાજની વાડી રંઘોળા રોડ અને વલભીપુર તાલુકા કક્ષાનો રાંદલમાતાનું મંદિર કોમ્યુનિટી હોલ ખાતે રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન-2025ની ઉજવણી કરાશે.
રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમ પ્રસંગે, પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ, અધયતન ટેક્નોલોજી સાથેનું કૃષિ પ્રદર્શન, પશુ આરોગ્ય મેળો, ખેડૂતો અને પશુપાલકોનું સન્માન, તેમજ યોજનાકીય માહિતી અને લાભ વિતરણ કરાશે.
આ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, ખેડૂતો અને નાગરિકોને ઉપસ્થિત રહેવા ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ