મહેસાણા,14 ઓક્ટોબર (હિ.સ.) ઊંઝા તાલુકાના કંથરાવી ગામમાં દિવાળીના ફટાકડાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. ગામના વાઘેલા ગોવિંદસિંહ અમરતજીના મકાનમાં રાખેલા ઘાસચારાના પુરામાં ફટાકડાનો ચિંગારિયો પડતાં જ આગ ભભૂકી ઉઠી હતી. આ અચાનક લાગેલી આગથી ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી.
આગની જાણ થતાં જ ઊંઝા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ઝડપી કામગીરી કરીને આગને વધુ ફેલાતી અટકાવી અને મકાનને મોટા નુકસાનથી બચાવ્યું હતું. જોકે, ઘાસચારાનો મોટો જથ્થો આગની ઝપેટમાં આવતા અંદાજે ₹30,000નું નુકસાન થયું હોવાનું પ્રાથમિક ગણતરીમાં જાણવા મળ્યું છે.
આગ ફટાકડાના બેફામ ઉપયોગથી લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યા બાદ ગામલોકોને દિવાળીના દિવસોમાં સાવચેતી રાખવાની અપીલ કરી છે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR