- રિસર્ચ માટે લાવેલી લિથિયમ બેટરીમાં આગ લાગતા રાત્રે ઊંઘી રહેલા યુવકો ધુમાડાના કારણે બેભાન થઈ ગયા
અમદાવાદ,15 ઓકટોબર (હિ.સ.) ગઇકાલે મોડી સાંજે કલોલના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી અને રાજસ્થાનના જેસલમેરમાં બસ આગમાં 20 ભોગ બન્યા હતા ત્યારે બીજી બાજુ પાવાગઢ થી બાવળા જતી લક્ઝરી બસ નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલ નજીક રેલવે બ્રિજ પર મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલા સીવી સ્ટ્રેટા બિલ્ડિંગના 11મા માળે ચાલતા પીજી મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ચાર યુવકો રિસર્ચ માટે લિથિયમ બેટરી લઈને આવ્યા હતા અને ઘરમાં રાખી હતી. તે દરમિયાન રાત્રે ચારેય સૂતા હતા અને કોઈ કારણસર બેટરી ફાટતા તેમાં આગ લાગી હતી. આગ અને ધુમાડાના કારણે ચારેય યુવકો બેભાન થઈ ગયા હતા અને દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને ઈજાગ્રસ્ત યુવકોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
એલ જે કોલેજમાં અભ્યાસ કરતા 4 યુવકો પીજી તરીકે રહેતા હતા. ગત મોડી રાત્રે યુવકો રિસર્ચ માટે લિથિયમ ઈલેક્ટ્રીક બેટરી લઈને ઘરે આવ્યા હતા અને સુતા હતા તે દરમિયાન એકાએક બેટરી ફાટતા આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી. તે સમયે ઘર બંધ હોવાથી ચારેય યુવકો દાઝ્યા હતા અને ધુમાડાના કારણે બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પ્રહલાદ નગર ફાયરસ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ઘરમાં રહેલા યુવકો જેવો દાઝી ગયા હતા તેમને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, વહેલી સવારે 3.47 વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડને મેસેજ મળ્યો હતો. આગમાં દાઝેલા યુવકો એલ જે કેમ્પસમાં અભ્યાસ કરતા હતા. ચારે યુવકો ઇલેક્ટ્રીક બેટરીને ચાર્જમાં મૂકી હતી અથવા તો અન્ય કોઈ કામ માટે ત્યાં રાખી હતી, જેમાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. લિથિયમની બેટરી હોવાનું ધ્યાને આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ