પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.): શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે એક બંધ રૂમમાં રાત્રે કાર્પેટ લગાવવાનું કામ ચાલતું હતું ત્યારે કેમિકલના છંટકાવ વચ્ચે એક વ્યક્તિએ બીડી સળગાવતાં અચાનક આગ લાગી ગઈ હતી. કેમિકલે તુરંત આગ પકડી લેતાં રૂમમાં આગ ફેલાઈ ગઈ હતી.
આ દુર્ઘટનામાં કામ કરી રહેલા ચાર શ્રમિકો આગમાં દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કાર્ય હાથ ધર્યું હતું. જખ્મી શ્રમિકોને 108 એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહનોની મદદથી હારીજના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ