વલસાડ ઉત્તર વન વિભાગ દ્વારા નવેરાથી દીપડાનું ચામડું પકડવાના કેસમાં બે મુખ્ય આરોપીના જામીન નામંજૂર
વલસાડ, 15 ઓક્ટોબર (હિ.સ.)-વલસાડ ઉત્તર વન વિભાગ દ્વારા વન્યજીવોના રક્ષણ માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વન્ય પ્રાણીના અવશેષોના ગેરકાયદેસર હેરફેર અંગે ખાનગી બાતમીના આધારે વલસાડ વન વિભાગની ટીમે સ્વતંત્ર પંચોની હાજરીમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન અજ
નવેરાથી દીપડાનું ચામડું


વલસાડ, 15 ઓક્ટોબર (હિ.સ.)-વલસાડ ઉત્તર વન વિભાગ દ્વારા વન્યજીવોના રક્ષણ માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વન્ય પ્રાણીના અવશેષોના ગેરકાયદેસર હેરફેર અંગે ખાનગી બાતમીના આધારે વલસાડ વન વિભાગની ટીમે સ્વતંત્ર પંચોની હાજરીમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન અજય માંદા પટેલ (રહે. નવેરા, તા. વલસાડ) ના નિવાસસ્થાને તપાસ કરતા દીપડો (Leopard, Panthera pardus), કે જે વન્યજીવ સુરક્ષા અધિનિયમ, 1972 (સુધારા 2022) ની અનુસૂચિ–1 હેઠળ સંરક્ષિત પ્રાણી છે, તેના ચારેય પંજા કપાયેલું ચામડું મળી આવ્યું હતું.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, અજય પટેલે આ ચામડું સુરેશભાઈ કાશીનાથ ભાઈ વંજારા, ઉંમર 41 વર્ષ, રહે. માલઘર, કાસદા ફળિયું, તા.કપરાડા જી. વલસાડ, રહે. કપરાડા પાસેથી વેપાર હેતુસર મેળવ્યું હતું. વધુ પૂછપરછ કરતા સુરેશભાઈએ સ્વીકાર્યું કે, આ ચામડું તેણે પોતાના સંબંધી માલઘર ગામના ઈહદર ફળીયામાં રહેતા સીતારામ વળવી પાસેથી વેચાણ માટે લાવવામાં આવ્યું હતું. આ રીતે ત્રણેય વ્યક્તિઓએ મળીને વન્યજીવ દીપડાનો ગેરકાયદેસર રીતે શિકાર કરી તેના ચામડાનું વેચાણ કરવાનો ગુનો આચર્યો છે. સુરેશભાઈની વધુ તપાસ દરમિયાન તેની પાસે રહેલા થેલામાંથી પોટલામાં બાંધેલા પક્ષી અને પ્રાણીના હાડકાં પણ મળ્યા હતા. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, હાડકાં દુડો (રેવી દેવી ઘુવડ – Barn Owl, Tyto alba) ના છે, જે પણ અનુસૂચિ–1 હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે. આ રીતે આરોપીઓએ વન્યજીવોનો શિકાર, વેચાણ અને તાંત્રિક વિધિ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો પુરાવો મળ્યો છે.

વલસાડ ઉત્તર વન વિભાગે ગુનો નોંધ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પબ્લિક પ્રોસિક્યુટરશ્રીનીદલીલોને ધ્યાનમાં રાખી અને વન્યજીવો પ્રત્યેની સંવેદના તથા સામૂહિક જવાબદારીને મહત્વ આપતા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી સાહેબે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.

અદાલતનો આ નિર્ણય વન્યજીવ સંરક્ષણ અને કાયદાના વહીવટમાં ગંભીરતા દર્શાવે છે.હાલ બંને મુખ્ય આરોપીઓના જામીન અરજીઓ વલસાડ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે તથા વધુ તપાસ ચાલુ છે. વલસાડ ઉત્તર વન વિભાગ તરફથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ વન્યજીવના શિકાર, ચામડાનું વેચાણ, વન ઉપજના ગેરકાયદેસર કાપકામ અથવા વાહન વ્યવહાર અંગે માહિતી ધરાવતી હોય, તો તે તાત્કાલિક નજીકની વન કચેરી અથવા હેલ્પલાઇન નં. 1926 પર જાણ કરે. આપની એક માહિતી અનેક જીવ બચાવી શકે છે. વલસાડ ઉત્તર વન વિભાગ વન્યજીવ અને વન સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande