- AAP નેતા રાજુ કરપડા, પ્રવીણ રામને કાર્યાલય બહારથી જ પોલીસ ઉઠાવી ગઈ
અમદાવાદ, 16 ઓકટોબર (હિ.સ.): આમ આદમી પાર્ટીના નેતાઓ બોટાદના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ,અમદાવાદ કાર્યાલય ખાતે કડદા પ્રથા બંધ કરવાની માગ અને ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા. જોકે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને નેતાઓ ઉપવાસ શરૂ કરે તે પહેલાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. હડદડ ઘર્ષણ દરમિયાન ખેડૂતોને ભડકાવવાના આરોપસર આ બંને નેતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે અને કડદા પ્રથા બંધ કરવાની માગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ આજે અમદાવાદમાં આમરણ ઉપવાસ પર બેસવાના હતા. ત્યારે અમદાવાદના કાર્યાલય પર કરપડા, પ્રવીણ રામ સહિતના નેતાઓ ઉપવાસ પર બેસવા પહોંચે તે પહેલા વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જે બાદ જેવા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામની પહોંચ્યાં ત્યાં જ બંને નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.
રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કર્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપીય કડદા પાર્ટી એપીએમસીમાં લૂંટ મચાવી રહી છે અને કોઇપણ ભાજપના નેતા ખેડૂતોનું સંભાળવા પણ તૈયાર નથી. ભાજપના નેતાએ કડદા પ્રથા બંધ કરવાના બદલે ખેડૂતોને કચડી નાખવાનું નક્કી કર્યું હતું. જે બાદ પોલીસે તમામ કામ બંધ કરી આમ આદમી પાર્ટી અને ખેડૂતોને નેતા પાછળ લગાવી દીધી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી આવતીકાલે સવારે તમામ જિલ્લા કલેક્ટર કચેરીમાં પત્ર આપીને વિરોધ કરશે. ખેડૂતોને અપીલ છે કે, તમારા માટે લડવા માટે આમ આદમી પાર્ટીનો સૈનિક તૈયાર છે. હડદડમાં કોઈપણ આમ આદમી પાર્ટીના નેતાઓએ અરાજકતા ફેલાવી નથી, અમને તો તમે નીકળવા પણ નથી દેતા, મને પણ બોટાદ પહોંચવા દેવામાં આવ્યો નથી. અમે ભાજપીય કડદા પાર્ટીથી ડરવાના નથી.
એક દિવસમાં હેલ્પલાઇન પર 700 ફરિયાદ APMCમાં થતા ગોટાળાની ફરિયાદ મળી છે. અમે ટીમ તૈયાર કરી છે, તમામ એપીએમસીમાં જઈને ગોટાળા થતા બંધ કરાવીશું. ખેડૂતોની ભાજપના નેતાઓએ દિવાળી બગાડી છે, જેથી અમે સૌ એક દીવો પ્રગટાવીશું અને જેલમાં ગયેલા ખેડૂતો અને AAPના નેતાઓને શક્તિ મળે તે માટે પ્રાર્થના કરીશું. બોટાદમાં આમ આદમી પાર્ટી ભાગી નહોતી, અમે સામી છાતીએ બોલીએ છીએ અમે કોઈથી ડરવાના નથી. અરવિંદ કેજરીવાલે પણ જે ખેડૂતો જેલમાં ગયા છે તેના પરિવાર સાથે વાતચીત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ