જુનાગઢ 2 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાની સાવજ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો અને તેમના પરિવારજનોએ સહકાર ક્ષેત્રે કરેલી પહેલ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ જિલ્લાની સાવજ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો અને તેમના પરિવારજનોએ જીએસટી દરમાં ઘટાડો, પશુપાલકો, ખેડૂતોના આર્થિક હિતનું રક્ષણ કરવા બદલ પોસ્ટ કાર્ડ લખી આભાર વ્યકત કર્યો હતો. આ પોસ્ટ કાર્ડમાં ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા અમેરિકાથી ડેરી અને કૃષિ ઉત્પાદનોની આયાત રોકવાના નિર્ણયથી પશુપાલકોને આત્મનિર્ભર થવાની શક્તિ મળશે જે માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો.
આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં 65 હજાર જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. આવતીકાલે પોસ્ટકાર્ડ ગાંધીનગર મોકલવામાં આવનાર છે. આ સમગ્ર અભિયાન સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ