અમરેલી, 21 ઓક્ટોબર (હિ.સ.) :
દામનગર પોલીસ દ્વારા વિસ્તારના નાગરિકોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્રારા “સુરક્ષિત ગામ – સુરક્ષિત સમાજ” અભિયાન અંતર્ગત નાગરિકોને તેમના ગામ અને આસપાસના વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવાની સમજણ આપવામાં આવી રહી છે, જેથી ગુનાખોરીમાં ઘટાડો થાય અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી શકાય.
આ સમજણ અભિયાનનો સકારાત્મક પ્રભાવ દામનગર તાલુકાના દંહિથરા ગામમાં જોવા મળ્યો છે. ગામના સરપંચ દ્વારા સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને ગામના મુખ્ય પ્રવેશદ્વાર, બજાર વિસ્તાર, અને મહત્વપૂર્ણ માર્ગો પર CCTV કેમેરા સ્થાપિત કરાયા છે.
સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, દંહિથરા ગામમાં CCTV નેટવર્ક ઉભું થવાથી ગુનાખોરી રોકવામાં મદદ મળશે અને કોઈ પણ ઘટના બને ત્યારે પુરાવા તરીકે ઉપયોગી થશે. ગામલોકોએ આ પગલાનું સ્વાગત કર્યું છે અને દામનગર પોલીસ તથા સરપંચના પ્રયાસોની પ્રશંસા કરી છે.
આ પહેલ અન્ય ગામો માટે પણ પ્રેરણાસ્પદ બની રહી છે, જેથી સમગ્ર વિસ્તારમાં સુરક્ષાનું જાળું વધુ મજબૂત બને.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai