- 5 જિલ્લાઓના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવાશે
ગાંધીનગર, 21 ઓક્ટોબર (હિ.સ.): કૃષિમંત્રી જીતુ વાધાણી એ જણાવ્યું છે કે, રાજય સરકારે ખેડૂતોને કુદરતી આપત્તિમાં બેઠા કરવા માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર-2025 માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે થયેલ નુકસાની ભરપાઈ કરવા સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્ય માહિતી વિભાગ એ માહિતી આપતા જણાવ્યું હતું કે મંત્રી વાધાણી એ કહ્યુ કે, દિવાળીના તહેવારોમાં પણ મુખ્યમંત્રી એ ખેડૂતોની ખાસ ચિંતા કરીને અધિકારી ઓ સાથે બેઠકો યોજી છે.તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે કૃષિ વિભાગ અને અમે ચર્ચા કરીને એમનુ પણ માર્ગદર્શન મેળવ્યુ છે અને આ મહત્વનો નિર્ણય કર્યો છે.
કૃષિ મંત્રી વાધાણી એ ઉમેર્યુ કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર- ૨૦૨૫ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય રૂપ થવા SDRF ની જોગવાઈ મુજબ રૂ.563 કરોડ રાજ્ય બજેટ માંથી કુલ રૂપિયા રૂ.384 કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂ947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.જેમાં ૫ જિલ્લાઓના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને આ સહાય ચૂકવાશે
મંત્રી એ આ અંગે મિડીયાને વિગતો આપતા કહ્યુ કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવામાં આવનાર છે. જેમાં જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જીલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળતાં જીલ્લા વહીવટીતંત્ર તરફથી 5 જીલ્લાના 18 તાલુકાઓના 800 ગામોમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલો મળ્યા છે. જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ પાકો પૈકી મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુવર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું જણાયું છે.
મંત્રી એ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા આ 5 જિલ્લાઓના 18 તાલુકાઓ ના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે SDRF ની જોગવાઈ મુજબ રૂ.563 કરોડ અને રાજય સરકાર દ્વારા ઉદાર અભિગમ અપનાવી રાજ્ય બજેટ માંથી કુલ રૂપિયા રૂ.384 કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂ.947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે.
તેમણે ઉમેર્યુ કે, વાવ-થરાદ અને પાટણ જીલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓના પુરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવવાની સમસ્યા ઉપસ્થિત થાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ/નિવારણ માટે Flood Mitigation Measures તરીકે ખાસ પ્રોજેક્ટ (Special Project) રાજ્ય સરકારશ્રી દ્વારા અમલમાં મુકવાનું નક્કી કરેલ છે. આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોની સમસ્યા ના નિવારણ માટે રાજયમાં સૌ પ્રથમવાર અલગથી રૂ.૨૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવશે અને વધુ જરૂર પડશે તો રૂ.૫૦૦૦ કરોડ કે તેથી વધુની જે જરૂર પડે એની પણ જોગવાઈ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય સરકારે પાક નુકસાની સહાય માટે નિયત કરેલા ધોરણો આ મુજબ રહેશે.
અ) ખરીફ ૨૦૨૫-૨૬ ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ
હેક્ટર મળવાપાત્ર રૂ.૮,૫૦૦/- ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.૩,૫૦૦/- એમ કુલ રૂ.૧૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય.
બ) વર્ષાયુ/પિયત પાકોના ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂ.૧૭,૦૦૦/- ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ.૨૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય.
ક) બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર રૂ.૨૨,૫૦૦/- ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ.૨૭,૫૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય.
ડ) આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટ માંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે રૂ.૨૦,૦૦૦/- પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય ચૂકવાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ