પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગનગરના ફાટકનો વિવાદ ચાલી રહ્યો છે. ફાટક છેલ્લા ચાર માસથી બંધ હોવાથી આસપાસના સ્થાનિકોએ પોરબંદરના ધારાસભ્યથી માંડી કેન્દ્રીય મંત્રી સુધી રજૂઆતો કરી હતી. છેલ્લે રેલવે ટ્રેક પર બેસી સ્થાનિકોએ ફાટક ખોલોના નારા પણ લગાવ્યા હતા અને અંતિમ અઠવાડિયાની ચેતવણી આપી જો ફાટક નહિ ખુલે તો રેલવે રોકો આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી. છેલ્લા ઘણા સમયથી ચાલતા વિવાદ વચ્ચે પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે દિવાળીના શુભ દિવસે ઉદ્યોગનગરના ફાટકની સ્થળની મુલાકાત લીધી અને વાતચીત કરી હતી. ત્યારબાદ મીડિયાને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે, રેલવેએ કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર ફાટક બંધ કરી દેતા લોકોમાં અસંતોષ હતો. લોકોની પરિસ્થિતિને ધ્યાને રાખી મેં પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆતો કરી હતી પરંતુ એક વખત રેલવે ફાટક બંધ થયા પછી સ્થાનિક અધિકારીઓ પાસે ફાટક ખોલાવવાની કોઈ સત્તા નથી જેથી મનસુખભાઈ સાથે લોકોની રજૂઆતોને ધ્યાને રાખી ફાટક ખોલાવવા ચર્ચા કરી હતી ત્યાર બાદ રેલવે વિભાગને ફાટક ખોલવા સૂચના આપી હતી. હાલ ઉદ્યોગનગર રેલવે ફાટક આસપાસ સિવિલ કામગીરી ચાલી રહી છે. બે થી ત્રણ દિવસમાં આ કામગીરી પૂર્ણ થશે ત્યારે ગણતરીના દિવસોમાં ઉદ્યોગનગર ફાટક ફરી લોકોની અવર-જવર માટે ખોલવામાં આવશે તેવું મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya