મહેસાણા, 22 ઓક્ટોબર (હિ.સ.) વિસનગર તાલુકાના ખદલપુર ગામમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સશસ્ત્ર અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી અને બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ 13 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.ફરિયાદ મુજબ, જયદીપસિંહ નવાજી રાજપૂત પોતાના ઘરેથી દરબારવાસ તરફ જઈ રહ્યા હતા ત્યારે કેટલાક યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા. ગામના પટેલ ચેતનકુમાર અને ચિરાગકુમારે તેમને અહીં ફટાકડા ફોડવા બાબતે મનાઈ કરતાં વિવાદ સર્જાયો હતો. બાદમાં બંને પક્ષના લોકો લોખંડની પાઈપ અને ધારિયા જેવા હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા.આ અથડામણમાં જયદીપસિંહ સહિત ત્રણ જણા ઘાયલ થયા હતા. બીજી તરફ, પટેલ આશિષ બાબુએ પણ વિપુલસિંહ મંગાજી અને તેના સાથીઓ સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે બંને પક્ષોની તલસ્પર્શી તપાસ શરૂ કરી છે અને ગામમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી શાંતિ જળવાઈ રહે તે માટે પગલાં લીધાં છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR