

ગાંધીનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી યોજાનાર છે. જેના મીડિયા કવરેજની પૂર્વ તૈયારીના ભાગરૂપે દૂરદર્શન દિલ્હીના ડાયરેક્ટર જનરલ(ન્યૂઝ) ડૉ. પ્રિયા કુમારે તેમની ટીમ સાથે એકતા પરેડ ગ્રાઉન્ડ, SoU પરિસરમાં થતી પદ પૂજા અને આરંભ કાર્યક્રમ સ્થળ તેમજ ડેમ વ્યુ પોઈન્ટ ખાતે થનારા સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી હતી.
આ વિશાળ રાષ્ટ્રીય-રાજ્યસ્તરીય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારીઓ એકતાનગર ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. તે અંતર્ગત આજ રોજ દૂરદર્શન કેન્દ્ર દિલ્હીની ટીમના સભ્યો રિષી કપુર(ડીડીજી), અનુરાજ જૈન(ડાયરેક્ટર ન્યૂઝ) અને પ્રોડ્યુસર નચીકેત, અમિત શર્મા, શિવરાજ લિયાક સહિતનાઓએ નર્મદા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઈલેક્ટ્રીકલ ઈજનેર અને મંડપ એજન્સી તથા સ્થાનિક SoUના અધિકારીઓ સાથે એકતાનગર ખાતે આવેલા પરેડ ગ્રાઉન્ડની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય કાર્યક્રમના સ્ટેજ કવરેજ સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ આગમન સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી હતી. કાર્યક્રમના તમામ તબક્કાઓ – પરેડ, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સંબોધન – કેવી રીતે વધુ અસરકારક રીતે પ્રસારિત થાય તે માટેની વિગતવાર યોજના તૈયાર કરવામાં આવી હતી. કયા એંગલથી કેમેરા ગોઠવવા અને લાઈવ પ્રસારણ વધુમાં વધુ લોકો જોઈ શકે અને પરેડનું આબેહૂબ જીવંત પ્રસારણ જોઈ શકાય તેવી કાર્યયોજના ઘડવામાં આવી હતી.
તદુપરાંત, સરદાર સરોવર નર્મદા ડેમના વ્યુ પોઈન્ટ–1 ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મીડિયા કવરેજ, ટેક્નિકલ વ્યવસ્થા, કેમેરા એન્ગલ તથા લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી. સમય-સંજોગોને ધ્યાને રાખીને કાર્યક્રમમાં જરૂરી સુધારા-વધારા કરવા માટે સૂચનો સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સ્થળની સુવિધાઓ, મંચ, વીવીઆઈપી-જનરલ બેઠકો અને સુરક્ષા વ્યવસ્થા અંગે નકશા મુજબની માહિતી આપી હતી.
નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પણ કાર્યક્રમની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન પ્રક્રિયા સઘન રીતે શરૂ કરવામાં આવી છે, જેથી સરદાર સાહેબની 150મી જન્મજયંતિનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ આયોજન સફળ અને અસરકારક થઈ શકે.
આ મુલાકાત વેળાંએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સતિષ મોદી, ઈજનેર હેમંતભાઈ વસાવા, ઈજનેર યતિનભાઈ વસાવા, સંયુક્ત માહિતી નિયામક અરવિંદ મછાર, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, પોલીસ વિભાગના અધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મંડપ વ્યવસ્થાપન એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ