

ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ૨૫ નવી ઈ-બસોનું લોકાર્પણ ફલેગ ઓફ આપી કરવામાં આવ્યું. આ સાથે એકતા નગરમાં હવે કુલ 55 ઈ-બસો પ્રવાસીઓને મફત મુસાફરી સેવા આપશે. વડાપ્રધાનએ હરિત પરિવહન અને ટકાઉ પર્યટનના દિશામાં એકતા નગરને દેશના ઉદાહરણરૂપ ઈ-સિટી તરીકે વિકસાવવાની દ્રષ્ટિ રજૂ કરી.
લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાનએ હરિત ધ્વજ લહેરાવી નવી ઈ-બસોને એકતા નગરના માર્ગો પર દોડવાની મંજૂરી આપી. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને પ્રવાસીઓએ હરખભેર તાળીઓના ગડગડાટ સાથે વડાપ્રધાનની હરિત પહેલનું સ્વાગત કર્યું.
આ નવી 9 મીટર લાંબી એસી મિનિ ઈ-બસો એક વખત ચાર્જ કર્યા પછી ૧૮૦ કિલોમીટર સુધી દોડી શકે છે. બસમાં દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ખાસ લિફ્ટિંગ સિસ્ટમ દ્વારા દિવ્યાંગ માટેની સીટને નીચે લાવી શકાય તેવી વ્યવસ્થા છે, જેથી તેઓ આરામદાયક રીતે ચઢી અને ઉતરી શકશે. ઉપરાંત, મહિલાઓ માટે અલગથી ચાર પિન્ક બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો આનંદ લઈ શકે.
આ અવસરે વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, “એકતા નગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.”
સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ વડાપ્રધાનના “ભારતનું પ્રથમ ઈ-સિટી” વિઝન હેઠળ તબક્કાવાર રીતે ઈ-કાર, ઈ-રિક્ષા અને ઈ-બસો જેવી હરિત વાહન વ્યવસ્થાઓ શરૂ કરી છે. વર્ષ ૨૦૨૧ના વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે વડાપ્રધાનશ્રીએ આ પહેલની જાહેરાત કરી હતી, ત્યારથી એકતા નગર પર્યાવરણમિત્ર પ્રવાસનના પ્રતીક રૂપે ઉભરી રહ્યું છે.
નવી ઈ-બસોની ઉમેરવાથી એકતા નગરમાં હવે પ્રવાસીઓ માટે મફત, સ્વચ્છ અને સ્માર્ટ પરિવહન સેવા વધુ સુગમ બની છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ એકતા નગર ટકાઉ વિકાસ, હરિત ઉર્જા અને સ્માર્ટ ટૂરિઝમના સુમેળનું જીવંત પ્રતિક બની રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ