
30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી
પાટણ, 27 ઓક્ટોબર (હિ.સ.): પાટણની ઐતિહાસિક ઓળખ રાણકીવાવ ઉપરાંત હવે પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ અને ડાયનાસોર ગેલેરી પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બની છે. દિવાળીના વેકેશન દરમિયાન આ સ્થળોએ 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જે પાટણના પર્યટન ક્ષેત્ર માટે આનંદદાયક સંકેત છે. ચોરમારપુરા નજીક 10 એકર જમીન પર બનેલું આ પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ અંદાજે 100 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. મ્યુઝિયમમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રદર્શનો સાથે ખાસ કરીને ડાયનાસોર ગેલેરી પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ બની છે, જ્યાં બાળકો અને પરિવારજનોને શૈક્ષણિક તેમજ મનોરંજક અનુભવ મળે છે.
સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે છેલ્લા છ દિવસમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ આ સાયન્સ મ્યુઝિયમ અને ડાયનાસોર ગેલેરીની મુલાકાત લીધી છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરના લોકો માટે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને ખાસ વાત એ છે કે તમામ મુલાકાતીઓએ 100 ટકા ડિજિટલ પેમેન્ટ દ્વારા ટિકિટ ખરીદી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ