

મહેસાણા, 27 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લામાં ચાલુ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. રમેશભાઈ પટેલ મુજબ હાલ કાપણીના તબક્કામાં આવેલા કપાસ, જુવાર, મગફળી, અડદ, મગ, ગવાર અને શાકભાજી પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે.
ખાસ કરીને કપાસના પાકમાં પાણી ભરાઈ જવાથી બોળ ખૂલી જાય અને ગુણવત્તા ઘટી શકે છે. મગફળીના પાક ખેતરમાં ખેંચીને મૂકેલા હોવાથી વરસાદથી ભીંજાઈ દાણા ઉગી જાય અથવા રોગ લાગે તેવી ભીતિ છે. અડદ અને મગ જેવા કઠોળ પાકો પણ કાપણી બાદ પલળી જાય તો બગડી શકે છે. ઘાસચારા અને જુવારના પાથરા ભીંજાઈ જાય તો પશુપાલકોને ચારો મળવામાં મુશ્કેલી થઈ શકે છે. આમળાના પાકમાં બદામી ડાઘા અને ડાળીઓ તૂટવાની શક્યતા છે.
ડૉ. પટેલે ખેડૂતોને સલાહ આપી છે કે કાપેલા પાકને પ્લાસ્ટિકથી ઢાંકીને રાખવા, ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેની વ્યવસ્થા કરવા અને પાકને સમયસર સંભાળવા જોઈએ. હાલની પરિસ્થિતિમાં સમય સૂચકતા જ બચાવનો મુખ્ય ઉપાય ગણાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR