
મહેસાણા, 28 ઓક્ટોબર (હિ.સ.) : IIT ગાંધીનગરમાં ડૉ. ભાસ્કર દત્તાની આગેવાનીમાં કરવામાં આવેલા એક અનોખા સંશોધનમાં કેળાની છાલના ઉપયોગથી કૃષિ ક્ષેત્રમાં નવી દિશા મળવાની શક્યતા જણાઈ છે. સંશોધનમાં ખુલ્યું છે કે કેળાની છાલમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, મિનરલ્સ, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફોરસ જેવા અનેક પોષક તત્ત્વો રહેલા છે, જે જમીનને પોષણ આપી પાકની ઉપજ અને ગુણવત્તા બંનેમાં વધારો કરી શકે છે.
આ સંશોધન મુજબ, કેળાની છાલનો ઉપયોગ સજીવ ખાતર અથવા બાયોફર્ટિલાઈઝર તરીકે કરી શકાય છે. છાલને પ્રોસેસ કરીને બનાવેલા દ્રાવણ અથવા કમ્પોસ્ટ સ્વરૂપે જમીનમાં ઉમેરવાથી માઇક્રોબિયલ પ્રવૃત્તિમાં વધારો થાય છે અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. આથી, રસાયણિક ખાતરોના ઉપયોગમાં ઘટાડો થાય છે અને ખેતી વધુ ટકાઉ બને છે.
ડૉ. ભાસ્કર દત્તાએ જણાવ્યું કે, “કેળાની છાલ ફેંકી દેવા કરતાં તેને વૈજ્ઞાનિક રીતે ઉપયોગમાં લેવાની પ્રક્રિયા વિકસાવવામાં આવી છે, જે ખેડૂતો માટે આર્થિક રીતે પણ ફાયદાકારક સાબિત થશે.”
આ સંશોધન દેશના ટકાઉ કૃષિ મોડલ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે અને ભવિષ્યમાં ઓર્ગેનિક ખેતી માટે કેળાની છાલ એક વૈકલ્પિક જૈવિક સંસાધન તરીકે ઉપયોગી બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR