
અમરેલી, 28 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય મહેશ કસવાલાએ લીખાળા, ભોંકરવા, ગાધકડા અને કલ્યાણપર ગામોની મુલાકાત લઈ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો.
મહેશ કસવાલાએ મેદાનમાં જઈને ખેતરોમાં થયેલા પાકના નુકસાનનું અવલોકન કર્યું અને ખેડૂતો પાસેથી જમીનસ્તર પરની હકીકત જાણી. તેમણે જણાવ્યું કે મગફળી, કપાસ અને અન્ય પાકમાં પાણી ભરાવા તેમજ પાંદડા ઝરી જવાથી ઉપજમાં ઘટાડો થયો છે. ખેડૂતોની મુશ્કેલીઓ અને આર્થિક સ્થિતિ અંગે તેમણે વહીવટી અધિકારીઓ સાથે ચર્ચા કરી અને તાત્કાલિક નુકસાનના સર્વે માટે સૂચના આપી.
ધારાસભ્યે ખાતરી આપી કે રાજ્ય સરકાર ખેડૂતોને મદદરૂપ થવા માટે પ્રતિબદ્ધ છે અને સર્વે પૂર્ણ થયા બાદ યોગ્ય વળતર તથા સહાય પૂરી પાડવામાં આવશે. સાથે જ તેમણે ખેડૂતોને આત્મવિશ્વાસ રાખવા અને તકેદારીપૂર્વક આગામી કૃષિ કાર્ય ચાલુ રાખવાની અપીલ કરી. તેમની આ મેદાની મુલાકાતથી ખેડૂતોમાં આશાનો સંચાર જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai