
જૂનાગઢ, 29 ઓક્ટોબર (હિ.સ.) વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો.પ્રદ્યુમન વાજાએ વરસાદથી અસરગ્રસ્ત જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામની મુલાકાત લઈ કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા એ મેંદરડા તાલુકાના ખડપીપળી ગામે ખેડૂતના ખેતરમાં જઈને મગફળી સહિતના પાકોમાં કમોસમી વરસાદથી થયેલ નુકસાની નું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા એ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ મુજબ આજ રોજ જુદા જુદા જિલ્લાઓમાં કમોસમી વરસાદથી થયેલ પાકને નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગઈકાલે અને અગાઉ પણ મેંદરડા પંથકમા ભારે વરસાદના કારણે પાકમાં નુકસાન થયું છે. ખાસ કરીને મગફળીના પાકમાં વધુ નુકસાન થયું છે. જ્યારે અન્ય પાક માં અંશત નુકસાન થયું છે.તેમણે ખેડૂતોને ખાત્રી આપતા જણાવ્યું હતું કે કેબિનેટમાં આવતીકાલે પ્રાથમિક અહેવાલ આપીશું. તેમજ પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને દરેક પ્રકારે મદદ કરવાની ખાતરી આપી હતી.
આ તકે મંત્રીઓ ની સાથે સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય દેવા માલમ, ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ સહિતના પદાધિકારીઓ – અધિકારીઓ જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ