
પોરબંદર, 29 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર શહેરમાં જલારામ બાપ્પાની 226મી જન્મજયંતીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના એસ.ટી. રોડ પર આવેલા નવા જલારામ મંદિરે સંત શિરોમણી જલારામ બાપ્પાની 226મી જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ સૌ પ્રથમ ભજન સંધ્યાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો તો આજે બપોરના સમયે ભક્તો માટે 7 હજારથી વધુ રોટલાનો વિશેષ મનોરથના દર્શનનું આયોજન કરાયું હતું. જેમાં વિશેષ આ વખતે રોટલાની કેકની સાથે 20 થી વધુ પ્રકારના ડ્રાયફ્રૂટના રોટલા બનાવવામાં આવ્યા હતા. આ સાથે સાથે આજે ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ સમગ્ર આયોજન નવા જલારામ મંદિરના ટ્રસ્ટી મંડળ તથા મહિલા મંડળ તથા યુવા ટીમના સેવાભાવી કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya