
- લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી ઉજવાશે
ગાંધીનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી 31 ઓક્ટોબરની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે તેમ જણાવતાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાધાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર સાહેબની 150 મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રવક્તા મંત્રી જીતુ વાધાણીએ આ અંગે મીડિયાને વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડની પેટર્ન પર રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે એકતાનગર ખાતે પ્રથમ વખત ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન, વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા 'એકત્વ' થીમ આધારિત 10 ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવશે.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન 30 અને 31 ઓક્ટોબરે કેવડીયા એકતાનગર ખાતે યોજાનાર એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. વડાપ્રધાનના નેતૃત્વમાં થનારી આ ઉજવણીમાં તેઓ 30 ઓક્ટોબરના રોજ સાંજે 5.30 કલાકે વડોદરાથી એકતાનગર ખાતે આવી પહોંચશે અને ઈ-બસોને લીલી ઝંડી આપશે તથા એકતાનગરમાં રૂ. 1219 કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તથા તેઓ સરદાર સાહેબની 150 મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સ્મૃતિ સિક્કાનું અને ટપાલ ટિકીટનું પણ અનાવરણ કરશે.
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને જે 1219 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપવાના છે તેમાં 367 કરોડના ખર્ચે નિર્માણ થનારા ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયાના ખાતમુહૂર્ત સહિત કુલ રૂ. 700 કરોડથી વધુ રકમના ખાતમુહૂર્ત તથા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડાયેલા 303 કરોડના ખર્ચે નિર્મીત બિરસા મુંડા ભવનના ઉદ્ઘાટન સહિત કુલ 519 કરોડ રૂપિયાના વિકાસ કામોના ઉદ્ઘાટન પણ કરશે.
તેમણે ઉમેર્યું કે, 31 ઓક્ટોબરે સવારે વડાપ્રધાન સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરશે તથા એકતાનગર ખાતે ભારત પર્વ અંતર્ગત ડેમ વ્યુ પોઇન્ટ-1 ખાતે થનારી સાયક્લોથોન ઇવેન્ટનો કર્ટન રેઈઝર લૉન્ચ કરશે. આ ઉપરાંત 16 નવેમ્બરે ભારત અને ગુજરાત સરકારના વિશેષ મહાનુભાવો સાથે સાયકલિંગ ફન રાઈડ અને 17 નવેમ્બરે ગુજરાત સરકારના રમતગમત વિભાગના સહયોગથી સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી સાયકલ ચાલકો સહભાગી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે.
એટલું જ નહિં, ઓપરેશન સિંદૂરના BSFના ૧૬ પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમ(Heralding Team)ના 100 જેટલા સદસ્યો કરવાના છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આરંભ કાર્યક્રમનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવે છે. આ વર્ષે આ કાર્યક્રમમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ફોર એડમિનિસ્ટ્રેશન-LBSNAAના 660 જેટલા પ્રશિક્ષણાર્થીઓ ભાગ લેવાના છે તેનો પણ વડાપ્રધાન પ્રારંભ કરાવશે અને તાલીમાર્થી સનદી અધિકારીઓને પ્રેરક માર્ગદર્શન આપશે તેમ તેમણે ઉમેર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ