
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ રાજ્ય મંત્રી મંડળની બેઠક
ગાંધીનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ઓક્ટોબર-2025ના છેલ્લા એક અઠવાડિયામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન તેમજ ખેડૂતોને ફરી બેઠો કરવા માટે આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલા પ્રાથમિક અહેવાલ અનુસાર ગત 23 થી 28 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં 33 જિલ્લાના 239 તાલુકામાં સમાન્યથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેમાં હાલના તબક્કે આશરે 10 લાખ હેકટરથી વધુ વિસ્તારમાં નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમજ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક ધોરણે SDRFના ધારાધોરણો મુજબ સર્વે શરૂ કરીને, તેને સાત દિવસમાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
પ્રવક્તા મંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, ખેડૂતોને ઝડપથી સહાય પૂરી પાડવાના આશય સાથે અદ્યતન ટેકનોલોજી - કૃષિ પ્રગતિના માધ્યમથી ઝડપથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. ટેક્નોલોજીકલ સર્વે ઉપરાંત ભૌતિક સર્વે પણ હાથ ધરવામાં આવશે, જેથી રાજ્યનો કોઈપણ અસરગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય.
રાજ્યમાં હજુ પણ જે ખેડૂતોનો પાક ઉભો છે, તે પાકના સંરક્ષણ માટે કૃષિ વિભાગ દ્વારા એક વિશેષ “એગ્રો એડવાઇઝરી” જિલ્લાવાર જાહેર કરવામાં આવી છે. આ એડવાઇઝરીમાં વિવિધ ઊભા પાકની જાળવણી માટેના વૈજ્ઞાનિક પગલાંઓ સૂચવવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ માધ્યમો દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
અસરગ્રસ્ત ખેડૂતોને આસ્વસ્થ કરતા મંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને સહાય કરીને સરકાર તેમની પર ઉપકાર નહીં, પરંતુ પોતાની નૈતિક ફરજ નિભાવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે રહી છે અને ભવિષ્યમાં પણ તેમની પડખે રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદને ધ્યાને રાખીને મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રી મંડળના સભ્યોને ત્વરિત અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા આદેશ આપ્યો હતો. સાથે જ, ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી પણ પરિસ્થિતિનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ