
પાટણ, 30 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ પંથકમાં સતત ચોથા દિવસે પણ વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને રાત્રિ દરમિયાન ધીમીધારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. હવામાનમાં આવેલા આ પલટાથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્રણ દિવસ પહેલાં પડેલા કમોસમી વરસાદથી ખેતરોમાં રાખેલો ઘાસચારો પલળી ગયો હતો, જેના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું હતું. હાલ પણ પશુઓ માટે વાવેલો ઘાસચારો ખેતરોમાં હોવાથી તે ફરી પલળી જવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
કપાસના પાકમાં ફાટી નીકળેલું રૂ ભીંજાઈ જવાથી તેની ગુણવત્તા પર અસર થવાની ભીતિ છે. હવામાન વિભાગની આગાહી બાદ પાટણ જિલ્લાસહિત અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જોકે, એરંડા અને જમીનમાંથી બહાર કાઢેલા રાયડાના પાક માટે આ વરસાદ અનુકૂળ સાબિત થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ