
પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : ખોરસમ કેનાલના પમ્પિંગ સ્ટેશનનો વાલ્વ તૂટી જતા બુધવારે પાટણ શહેરમાં પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો. જેના કારણે સિદ્ધિ સરોવરમાં પાણી ખૂટી પડતાં શહેરમાં પાણી વિતરણ રોકવું પડ્યું હતું. પાલિકાની વોટર વર્ક્સ ટીમ ગુરુવારે વાલ્વ રિપેર કરવા પહોંચી હતી, પરંતુ સતત વરસાદ અને સ્થળ પર લાઈટ ન હોવાના કારણે કામ શરૂ થઈ શક્યું નહોતું.
હવે વરસાદ બંધ રહેશે અને વીજ પુરવઠો મળશે તો જ રિપેરિંગ કામગીરી પૂર્ણ થઈ શકશે. આ કારણે શુક્રવારે પણ સિદ્ધિ સરોવરમાં પાણીનો પ્રવાહ ન આવતા શહેરમાં પાણી વિતરણ બંધ રહેશે, તેવી માહિતી પાલિકાના વોટર વર્ક શાખાના સિનિયર ક્લાર્ક ભરતભાઈ મોદીએ આપી હતી.
પાણી પુરવઠો બંધ રહેતા અનેક વિસ્તારોમાં તંગી સર્જાઈ હતી. પાલિકાએ 20 અને ખાનગી 40 ટેન્કરો દ્વારા પાણી પહોંચાડ્યું, છતાં કેટલાક વિસ્તારોમાં પાણી ન મળતાં નાગરિકોને ભારે હાલાકી પડી. ઈશ્વરભાઈ પટણીયા જણાવ્યા મુજબ રાધનપુરીવાસ અને પીપળાવાસ વિસ્તારમાં બે દિવસથી પાણી આવ્યું નથી અને ટેન્કર પણ પહોંચ્યું નથી, તેથી હવે ખાનગી ટેન્કર મંગાવવાની ફરજ પડશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ