


મહેસાણા, 31 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં પશુપાલન મુખ્ય વ્યવસાય છે, અને પશુઓને પોષક લીલો ચારો પૂરો પાડવા ખેડૂતો રજકાનું વાવેતર વિશાળ પ્રમાણમાં કરે છે. શિયાળાની શરૂઆતમાં વાવવામાં આવતો આ પાક ઉત્તમ ગુણવત્તાવાળો ચારો આપે છે અને ઓછી સંભાળમાં વધુ ઉત્પાદન આપે છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેરવા મહેસાણાના નિષ્ણાંત ભરતભાઈ પટેલ જણાવે છે કે નવેમ્બરના દ્વિતીય અઠવાડિયામાં વાવેતર કરવું શ્રેષ્ઠ ગણાય છે. એક હેક્ટર માટે આશરે 13 કિલો બિયારણ પૂરતું રહે છે. “પુંખી પદ્ધતિ”થી વાવેતર કરવાથી છોડને પૂરતી જગ્યા અને પોષણ મળે છે, જે વૃદ્ધિ માટે અનુકૂળ છે. એક વિઘામાં 20 થી 25 કિલો 12:32:16 પ્રમાણનું NPK ખાતર આપવાથી પાક મજબૂત બને છે, જ્યારે 5 કિલો ગંધક આપવાથી ચારા ની ગુણવત્તા વધે છે.
આણંદ રજકો-2 અને રજકો-3 જેવી જાતો ઉત્તમ માનવામાં આવે છે. રજકો-2માંથી 2 થી 3 વખત કાપણી મેળવી શકાય છે, જ્યારે રજકો-3 આખું વર્ષ ચારો પૂરું પાડે છે. રજકાનો પાક જીવાતમુક્ત અને ઓછા ખર્ચાળ હોવાથી પશુપાલકો માટે આર્થિક રીતે લાભદાયક છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR