જામનગર, 7 ઓક્ટોબર (હિ.સ.) : રાષ્ટ્ર નિર્માણની ભાવનાને દૃઢ કરવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક રીતે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં કલેક્ટર ઉપરાંત ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર બી. એન. ખેર સહિત સર્વે પ્રાંત અધિકારીઓ તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સૌએ સંકલ્પ કર્યો કે તેઓ સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરશે અને દેશના તમામ સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરીને દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહેશે. પ્રતિજ્ઞામાં ભારતના સમૃદ્ધ વારસાનું ગૌરવ અને જતન કરવા તેમજ દેશના બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહીને, બંધુતાની ભાવના સાથે દેશને પ્રાધાન્ય આપી, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા માટે સૌ સદાય પ્રતિબદ્ધ રહેશે.
વધુમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મન, વચન અને કર્મથી તત્પર રહેવાનો સંકલ્પ લેવાયો હતો.“હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે સૌએ કટિબદ્ધતા દર્શાવી હતી. અંતે, ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવીને દેશના વિકાસ અને કલ્યાણ માટે તન, મન અને ધનથી અવિરત પ્રયાસરત રહેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt