જૂનાગઢ,8 ઓક્ટોબર (હિ.સ.)
જૂનાગઢ રાજ્ય સરકારની મફત પરિવહન સેવા જૂનાગઢ જિલ્લાના 4150 વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની છે. આ યોજના થકી વિદ્યાર્થીઓની શાળામાં નિયમિતતા અને હાજરીનું પ્રમાણ વધ્યું છે. સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ, દ્રારા મફત પરિવહન સુવિધાની યોજના કાર્યરત છે. આરટીઈ એકટ-2009 મુજબ રાજય સરકાર દવારા તૈયાર કરવામાં આવેલ ગુજરાત આર.ટી.ઈ.રુલ્સ-2012 નિયમ-5 મુજબ જયાં ઘરથી સરકારી પ્રાથમિક શાળાનું અંતર 1 કિ.મી. થી વધુ અને ઉચ્ચ પ્રાથમિક શાળાનું અંતર 3 કિ.મી.થી વધુ હોય તેવા બાળકોને મફત પરિવહન સુવિધાનો લાભ મળવાપાત્ર છે. તેમજ જયાં ઘરથી સરકારી બાલવાટિકા પ્રાથમિક શાળાનું અંતર 1 કિ.મી. થી વધુ હોય તેવા બાળકોને મફત પરિવહન સુવિધાનો લાભ મળવાપાત્ર છે. સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું અંતર 5 કિ.મી. થી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને શાળા પરિવહન યોજનાનો લાભ મળવાપાત્ર છે.
ઉપરોક્ત યોજના વિદ્યાર્થીના રહેઠાણથી પ્રથમ જે શાળા લાગુ પડતી હોય અને ત્યાં પ્રવેશ ઉપલબ્ધ હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજનામાં પ્રતિ વિદ્યાર્થી દીઠ પ્રતિ માસ રૂ. 600 લેખે સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ યોજનાનું સંચાલન શાળા દ્વારા કરવામાં આવે છે. આર.ટી.ઓ. કચેરી તથા રાજ્ય કચેરીના નિયમો, શરતો, સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ આ યોજનાની અમલવારી કરવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી લત્તાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ મફત પરિવહન સુવિધા અને શાળા પરિવહન યોજનાની નિયમાનુસાર અને સફળતાપૂર્વક અમલવારી કરાવવામાં આવતી હોવાથી જૂનાગઢ જિલ્લાના સરકારી બાલવાટિકા થી સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આશરે ૪૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. આ યોજના થકી વિદ્યાર્થીઓની શાળામાં નિયમિતતા અને હાજરીનું પ્રમાણ વધ્યું છે.
મફત પરિવહન સેવા યોજનાનો ભેંસાણમાં ૨૫, જૂનાગઢ ગ્રામ્ય માં ૪૭૩, જૂનાગઢ શહેરમાં ૪૨૦, કેશોદમાં ૩૦૯, માળીયાહાટીનામાં ૬૦૩, માણાવદરમાં ૩૦૫, માંગરોળમાં ૬૧૧, મેંદરડામાં ૭૧૪, વંથલીમાં ૬૧૧, વિસાવદરમાં ૭૯ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે.ગત વર્ષે ૩૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો. જ્યારે આ વખતે તેમાં વધારો થયો છે અને ચાલુ વર્ષે ૪૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
આમ, સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યની મફત પરિવહન સુવિધા અને શાળા પરિવહન યોજના જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આશિર્વાદરૂપ નીવડી છે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ