બહિયલ તોફાનકાંડ બાદ બરેલી-યુપીની જેમ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર એક્શન, ગેરકાયદે દબાણો તોડવાનું શરૂ
- ગામના મુખ્ય માર્ગો પરના કુલ 190 કાચાં-પાકાં દબાણો દૂર કરાશે ગાંધીનગર, 9 ઓકટોબર (હિ.સ.) : ત્રીજા નોરતાની રાત્રે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ બહિયલ ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટને કારણે થયેલા હિંસક તોફાનકાંડ બાદ વહીવટી અને પોલીસતંત્ર બરેલી
બહિયલ તોફાનકાંડ બાદ બરેલી-યુપીની જેમ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર એક્શન,ગેરકાયદે દબાણો તોડવાનું શરૂ


- ગામના મુખ્ય માર્ગો પરના કુલ 190 કાચાં-પાકાં દબાણો દૂર કરાશે

ગાંધીનગર, 9 ઓકટોબર (હિ.સ.) : ત્રીજા નોરતાની રાત્રે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ બહિયલ ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટને કારણે થયેલા હિંસક તોફાનકાંડ બાદ વહીવટી અને પોલીસતંત્ર બરેલી-યુપીની જેમ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર એક્શન મોડમાં આવી ગયાં છે. ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદે દબાણો તોડવાનું શરૂ કર્યું.

બહિયલ ગામમાં ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોને આગ ચાંપવાના ગંભીર બનાવ બાદ કાયદાનું કડક પાલન કરાવવા માટે આજે વહેલી સવારથી વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદે કાચાં-પાકાં દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.તંત્ર દ્વારા તોફાની તત્ત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત 190 જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી. આ દબાણકારોને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેની સમયમર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી.

વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલ સમયગાળામાં એક પણ દબાણકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) વિભાગીય દહેગામ તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર પાટનગર યોજના પેટા વિભાગ (સ્ટેટ) સમક્ષ બાંધકામનો પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. પુરાવાના અભાવે, આજે ગુરુવાર વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કુલ 190 દબાણમાંથી રાયપુર ઘમીજ કરોલી રોડ પર 135 દબાણ અને હાથીજણથી બહિયલ રોડ પર 51 દબાણને નોટિસ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા બુલડોઝરની મદદથી દબાણો હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. નોટિસ મળતાંની સાથે જ દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેમણે પોતાનો માલસામાન હટાવવાનું શરૂ કરી દીધું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande