
જૂનાગઢ, 13 નવેમ્બર (હિ.સ.) : જુનાગઢ શહેરમાં સરદાર નજીક આવેલ ડો. આંબેડકર સરકારી કન્યા છાત્રાલય માં હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ જમવાની ગુણવત્તા બાબતે ફરિયાદ રજૂઆત આવતા આજરોજ જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ હોસ્ટેલની મુલાકાત લીધી હતી.
સમગ્ર ઘટના અંગે કલેક્ટર અનિલ કુમાર રાણાવસીયા એ જણાવ્યું હતું કે , જુનાગઢ શહેરમાં આવેલ ડો. આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ગઈકાલે સાંજે જે હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ જમવાની ગુણવત્તા બાબતે ફરિયાદ અને પ્રશ્નો કર્યા હતા. જે અંગે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓએ હોસ્ટેલ પર જમવાની ગુણવત્તાની ચકાસણી કરી હતી.
કલેક્ટર એ જણાવ્યું હતું કે જમવાની ગુણવત્તાના પ્રશ્ન છે તે બાબતે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ હોસ્ટેલના બહેન જેમણે દરેક વસ્તુ તપાસવાની વોર્ડન તરીકેની કામગીરી કરવાની હોય છે તેમને પણ નોટિસ આપવામાં આવશે.
કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે હોસ્ટેલમાં રહેતી દીકરીઓ માંથી જ કમિટી બનાવવામાં આવી છે. આ વ્યવસ્થામાં વિદ્યાર્થીનીઓ ને પણ ભોજન ગુણવતા જળવાઈ તે માટે અભિપ્રાય માટે સામેલ કરાશે અને તેઓ રિપોર્ટ આપશે તે પ્રમાણે આ કમિટી મેનુ મુજબ સવાર ,બપોર સાંજ ભોજન મળે છે કે નહીં, ભોજનની ગુણવત્તા જળવાય છે કે નહીં, તેમજ સ્વચ્છતા બાબતે સમાજ કલ્યાણ વિભાગને રિપોર્ટ કરશે.આ રિપોર્ટ જો યોગ્ય હશે તો જ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવામાં આવશે. સાથે જ કલેકટર એ પાણી,હોસ્ટેલમાં સફાઈ,ફર્નિચરની ખૂટતી બાબત અંગે પણ તાત્કાલિક વ્યવસ્થા કરવા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણને આ બાબતે જરૂરી સુચનાઓ આપી હતી.તેમજ સમાજ કલ્યાણ અધિકારી પવારને આ બાબતે તકેદારી રાખવા જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ