
જૂનાગઢ, 15 નવેમ્બર (હિ.સ.) બાળકોમાં રહેલી સુશુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયો પ્રત્યે પોતાનો અભિગમ કેળવે તે હેતુથી જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા જૂનાગઢ ગ્રામ્ય અને શહેરી કક્ષાનો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પીએમ ખડીયા કન્યા પે સેન્ટર શાળા ના યજમાન પદે આયોજિત આ વિજ્ઞાન મેળામાં જૂનાગઢ શહેર અને ગ્રામ્યના ૧૫૦ જેટલા બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર પોતાની કૃતિઓ રજૂ કરી હતી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે જુનાગઢ તાલુકાના ટીપીઓ, દરેક સંઘના હોદ્દેદારો, ડાયટના પ્રતિનિધિઓ, દરેક પે સેન્ટરના આચાર્ય, ઇન્ચાર્જ બી આર સી મનોજનાથ નાથજી, સી.આર.સી કોર્ડીનેટરો તેમજ જીગ્નેશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
બાળવૈજ્ઞાનિકોએ સોલાર રેલ્વે સ્ટેશન, સ્વસ્થ વર્ધક પીણાં, ગ્રીન ઉર્જા નો ઉપયોગ, એ આઈ ટેકનોલોજી નો ઉપયોગ, સરળ ખેતી, પ્લાસ્ટિકનો રિયુઝ, કુદરતી ખાતર જેવા વિષયો પર બાળકોએ કૃતિ રજૂ કરી હતી.
આ વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વૈજ્ઞાનિકો જિલ્લા કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ રજૂ કરશે. પસંદ કરવા માટે ચાર નિર્ણાયકો પ્રવીણભાઈ ભાડજા, એસ. ડી. મોણપરા, ભરત ડોબરીયા તેમજ પ્રતાપસિંહ ઓરા એ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખડીયા પે સેન્ટરના આચાર્ય મુકેશ બારીયા તેમજ તેમની ટીમે જહમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ