
અમરેલી, 24 નવેમ્બર (હિ.સ.) : રાજુલા તાલુકાના હિંડોરડા–બારપટોળી રોડના કાંઠે સ્થિત ભુતડા દાદાની જગ્યા આજકાલ સ્થાનિકો માટે આસ્થાનું અનોખું કેન્દ્ર બની ગયું છે. ચાર વર્ષ પહેલા ભક્તિ રામ બાપુ દ્વારા સ્થાપિત આ પવિત્ર સ્થલે આજે સેવા, શ્રદ્ધા અને પરોપકારનું પ્રેરણાદાયી કાર્ય થઈ રહ્યું છે.
ભુતડા દાદાના મહંત દ્વારા દરરોજ 11 મોટા ઠીકરાના ટીપ પાણી સાફ કરીને ભરવામાં આવે છે. 24 કલાક તાજું પાણી ઉપલબ્ધ રહે તે માટે મહંત રોજ સવારથી જ પાણીની વ્યવસ્થા સંભાળે છે, જેના કારણે મહુવા, નાગેશ્રી, દબાણ ખાંભા સહિતના વિસ્તારથી પસાર થતા લોકો માટે પાણી પરબ આશીર્વાદરૂપ બની ગયું છે.
મહંતે દિવાળી પછી મૌન ધારણ કર્યું છે અને દિવસભર રામાયણના પાઠમાં લીન રહે છે. તેમ છતાં કોઈ ભક્ત કે મહેમાન આવે તો તેમની સેવા માટે હંમેશા તૈયાર રહે છે. ચા પીધા વિના કોઈને જવાનું નહિ—આ પરંપરા અહીં આજેય નિભાવવામાં આવે છે. મહંત વિવિધ ગામોમાં રામાયણ વાચન કરવા પણ જાય છે અને તેમના જ્ઞાનથી લોકો પ્રભાવિત થાય છે.
ભક્તિ રામ બાપુએ જગ્યાની આસપાસ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કર્યું છે, જેના કારણે અહીં ઠંડકભર્યું અને શાંતિમય વાતાવરણ સર્જાયું છે. આજુબાજુના ખેડૂતોએ અહીં પોતાનું ટિફિન લઈ જમવાનું શરૂ કર્યું છે, કારણ કે પાણી અને છાંયડાની ઉત્તમ વ્યવસ્થા તેમને આકર્ષે છે.
આ સેવા ભાવના અને ભગીરથ પ્રયત્નો વચ્ચે ભુતડા દાદાની જગ્યા આજે લોકોની ગાઢ શ્રદ્ધા અને આશ્રયસ્થાનનું કેન્દ્ર બની ગઈ છે. મહંતની નિષ્ઠા અને સેવા ભાવથી અહીં દરરોજ ભક્તો અને રાહદારીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai