

મહેસાણા, 7 નવેમ્બર (હિ.સ.) વિસનગર શહેરમાં પોલીસ સ્ટેશનની નજીક ચોરીનો બનાવ બનતા સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ગૌરવપથ રોડ પર આવેલા સરદાર માર્કેટ કોમ્પ્લેક્સમાં સ્થિત સ્નેહલબેન હિરેનકુમાર કંસારાની ‘સ્કાય બ્યુટીકેર’ દુકાનનું તાળું તોડી ચોરોએ મશીનો અને રોકડની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.
આ ચોરીનો બનાવ શહેરના સૌથી સંવેદનશીલ વિસ્તાર — પોલીસ સ્ટેશનની નજીક — બન્યો હોવાને કારણે નાગરિકોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. ચોર ટોળકી પોલીસની આંખ સામે નિર્ભયતાથી કામ કરી રહી છે, જે પોલીસ પેટ્રોલિંગની નિષ્ફળતા દર્શાવે છે.
સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ચર્ચા છે કે જો પોલીસ સ્ટેશનની આજુબાજુની દુકાનો જ સુરક્ષિત ન હોય, તો શહેરના અન્ય વિસ્તારોમાં સુરક્ષા પર વિશ્વાસ કેવી રીતે રાખી શકાય? વેપારીઓએ માંગ કરી છે કે પોલીસ તંત્ર મુખ્ય માર્ગો અને બજારોમાં પેટ્રોલિંગ વધારીને ચોરોને પકડવા તાત્કાલિક પગલાં લે.
નાગરિકોનો સવાલ છે કે શું પોલીસ માત્ર દેખાવદાર કેસો પર ધ્યાન આપશે કે પછી શહેરની શાંતિ ભંગ કરનારી ચોર ટોળકી સામે કડક કાર્યવાહી કરશે? વિસનગરમાં વધતા ચોરીના બનાવો વચ્ચે લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ ખોરવાઈ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR