
જૂનાગઢ, 8 નવેમ્બર (હિ.સ.) કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરણા માર્ગદર્શન અનુસાર આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા સંચાલિત ડુંગરાળ વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન આગામી તા.૧૨/૧૨/૨૦૨૫ થી ૨૧/૧૨/૨૦૨૫ સંપુર્ણ સરકારી ખર્ચે જૂનાગઢમાં કરવામાં આવ્યું છે.
જેમાં ભાગ લેવા માટે વય મર્યાદા ૧૪ થી ૪૫ વર્ષ સુધીની રહેશે. તેમજ સમયગાળો ૧૦ દિવસનો રહેશે. આ અંગેનું નિયત અરજી પત્રક Facebook Page : SVIM ADMINISTRATION પરથી ડાઉનલોડ કરી શકાશે. તે ડાઉનલોડ કરીને જરૂરી આધાર પુરાવા સાથે આગામી તા.૨૫/૧૧/૨૦૨૫ સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વાતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા પોસ્ટમાં મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે. ઉક્ત્ત અરજી પત્રક સાથે જન્મનો પુરાવો, નિવાસ અંગેનું આધાર કાર્ડ, બેઝિક કોર્ષનું પ્રમાણપત્ર, મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર, વાલીનું સંમતિ પત્રક સાથે જોડવાનું રહેશે.
અત્રે ઓછામાં ઓછો બેઝિક કોર્ષ કરેલો હોય તેઓએ જ અરજી કરવાની રહેશે. અધૂરી વિગતવાળા ફોર્મ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જેમાં કોચીંગ કોર્ષ કરેલને પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ઉપરોક્ત કચેરીના સંપર્ક નંબર ૦૨૮૫-૨૬૨૭૨૨૮ માં સંપર્ક કરવાનો રહેશે. તેમ ઇન્સ્ટક્ટર ઇન્ચાર્જશ્રી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ