
- બંને દીકરીઓના મૃતદેહ પિયજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળ્યા
ગાંધીનગર, 8 નવેમ્બર (હિ.સ.) : કલોલના વડસર ઉપરાંત અન્ય બે સ્થળોએ પેટ્રોલ પંપ ધરાવતા ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના ધીરજ રબારીએ નર્મદા મુખ્ય કેનાલમાં 2 દીકરી સાથે પેટ્રોલ આપઘાત કરતાં ગઈકાલે સવારે પોતાની બે દીકરીઓના આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. જેઓ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ ગઈકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં બે દીકરીઓ સાથે ધીરજભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ ધીરજભાઈની તપાસ હાથ ધરી હતી. જ્યાં બંને દીકરીઓના મૃતદેહ પિયજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવ્યા હતા.
આજે સવારે બંને દીકરીઓના મૃતદેહ કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારની મુખ્ય કેનાલમાંથી મળી આવતા રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં સાંતેજ પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
ગઈકાલે સવારે ધીરજ બંને દીકરીઓના આધારકાર્ડ કઢાવવાનું કહી ઘરેથી ગાડી લઈ નીકળ્યા હતા
આ અંગે સાંતેજ પોલીસ મથકના પીઆઈ એસ. આર. મૂછાળએ જણાવ્યું કે ધીરજ રબારી કલોલ શહેર પોલીસ મથકની હદમાં આવેલા બોરીસણા ગામમાં રહે છે. જેમના પરિવારમાં પત્ની માતા-પિતા અને બે નાની દીકરીઓ છે. ગઈકાલે સવારે ધીરજ તેમની બંને દીકરીઓને આધાકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા.
મોડે સુધી ઘરે પરત ન ફરતા ધીરજે પોતાની ગાડીનું લોકેશન અને મોબાઈલનો પાસવર્ડ પરિવારને મોકલી આપ્યો હતો. જેની તપાસમાં ધીરજની ગાડી શેરીસા નર્મદા કેનાલથી મળી આવી હતી. જેના પગલે તરવૈયા અને ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં શોધખોળ શરૂ કરાઈ હતી, પરંતુ ત્રણેયની ક્યાંય ભાળ મળી નહોતી.
આજે બંને દીકરીઓના મૃતદેહ કલોલ તાલુકા પોલીસ મથકના પિયજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી છે. જ્યારે ધીરજની હજી સુધી કોઈ ભાળ મળી નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ