




- 33 જિલ્લાઓમાં જિલ્લાના વિવિધ ઐતિહાસિક સ્મારકો પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દીપોત્સવ, રંગોળી અને રોશની કરીને ઉજવણી કરાઈ.
ગાંધીનગર, 11 ડિસેમ્બર (હિ.સ.) : ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને ભવ્ય પર્વ, 'દિવાળી'ને યુનેસ્કો દ્વારા તેની 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' (Intangible Cultural Heritage - ICH)ની પ્રતિષ્ઠિત સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. આ નિર્ણય માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આનંદ અને ગૌરવનો વિષય છે. આ ઐતિહાસિક સિદ્ધિ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને તેની ઉજવણીની વૈશ્વિક સ્વીકૃતિને દર્શાવે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે હંમેશા ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે સાર્થક અને સતત પ્રયાસો કર્યા છે. આ પ્રયાસોના ફળસ્વરૂપ જ આજે વિશ્વફલક પર આપણી પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતા સમગ્ર વિશ્વમંચ પર પ્રભાવક રીતે પ્રગટ થઈ છે.
દિવાળીના અપેક્ષિત સમાવેશની સંભાવનાને ધ્યાનમાં રાખીને, અને યુનેસ્કો દ્વારા સત્તાવાર જાહેરાત બાદ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાજયના 33 જિલ્લાઓમાં જિલ્લાના વિવિધ ઐતિહાસિક સ્મારકો પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દીપોત્સવ, રંગોળી અને રોશની કરીને ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીનો હેતુ વિશ્વ સમક્ષ ભારતની સાંસ્કૃતિક ઓળખને મજબૂત રીતે રજૂ કરવાનો તેમજ આ ગૌરવ શાળી ક્ષણને સમગ્ર રાજ્યમાં ઉત્સાહપૂર્વક આવકારવાનો છે.
આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિના અનુસંધાને, સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય, ભારત સરકારની સૂચના અનુસાર, તા. 10 ડિસેમ્બર, 2025ના રોજ રાજ્યના મહત્વના ઐતિહાસિક સ્મારકો તથા સાંસ્કૃતિક સ્થળોએ વિશેષ દીપ પ્રજ્વલન, રોશની સજાવટ અને રંગોળી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ માં જિલ્લા વહીવટી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી વિવિધ ઐતિ હાસિક સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળો જેવા કે, અડાલજની વાવ, દાંડી કુટિર, એકતા નગર, વડોદરા મ્યુઝીયમ, જામનગર ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્થાનિક કલાકારો અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા ભારતીય પરંપરા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્યો અને સંગીતની પ્રસ્તુતિઓ રજૂ કરી હતી.
દિવાળીનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ એ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક સ્વીકૃતિની મહોર છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને ભારતની સાંસ્કૃતિક વિરાસતને સંરક્ષિત અને પ્રોત્સાહિત કરવાના સતત પ્રયાસોનું પરિણામ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ